આવ રે વરસાદ: 48 કલાકમાં મુંબઈમાં થશે વરસાદનું આગમન
આ વખતે મોસમી વરસાદ લંબાતા સોકોમાં ચિંતાનો માહોલ છે. મહારાષ્ટ્રમાં પૂરતો વરસાદ પડે એ માટે માટુંગામાં આવેલા શ્રી શંકર મઠમાં વેદિક પંડિતો છાતી સુધી પાણી આવે એવા ડ્રમમાં બેટા હતા તેમ જ વરસાદના દેવ વરૂણને ખુશ કરવા માટે જપ કરતા હતા. તસવીર- આશિષ રાજે.
હવામાન ખાતાએ ગરમી અને ઉકળાટથી પરેશાન થતા મુંબઈગરાઓને રાહત થાય એવા સમાચાર આપ્યા છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના પશ્ચિમી કાંઠે આવતા ૪૮ કલાકમાં વરસાદનાં ઝાપટાં શરૂ થવાની આગાહી કરી છે. હળવા દબાણનો પટ્ટો વાયવ્ય દિશાએથી પ્રવેશ કરતાં ચોમાસું સક્રિય થનાર હોવાનું હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.
અગાઉ અરબી સમુદ્રમાં ફૂંકાયેલું વાવાઝોડું ‘વાયુ’ મુંબઈની નજીકથી પસાર થયું ત્યારે સારો વરસાદ પડતાં મુંબઈગરાઓને બફારામાં રાહત થઈ હતી, પરંતુ ત્યાર પછી હવામાન બદલાયું હતું. ઉકળાટ ચાલુ રહેવા સાથે ભેજમાં વધારો થયો હતો. રવિવારે મુંબઈમાં મહત્તમ ઉષ્ણતામાન ૩૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ADVERTISEMENT
હવામાન ખાતાની આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે ‘છત્તીસગઢ અને આસપાસનાં ક્ષેત્રોમાં સાઇક્લોનિક સક્યુર્લેશન વાયવ્ય દિશા તરફ આગળ વધતાં મુંબઈ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ૪૮ કલાકમાં ચોમાસું સક્રિય થશે. મધ્ય અરબી સમુદ્ર, કોકણ, વિદર્ભ અને મરાઠવાડાનાં બાકીનાં ક્ષેત્રોમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થવા માટે પણ અનુકુળ સ્થિતિ સર્જાઈ છે.
આ પણ વાંચો : આ રાજ્યના CMનું ઘર ડિફૉલ્ટર જાહેર, નથી ચૂકવ્યું પાણીનું બિલ
કોલાબા વેધશાળાના આંકડા મુજબ છેલ્લાં નવ વર્ષમાં આ વર્ષે સૌથી મોડેથી ચોમાસાનું આગમન થવાનું છે. સામાન્ય રીતે મુંબઈમાં ચોમાસાના આગમનની તારીખ ૧૦ જૂન મનાય છે.