આધુનિક કાળનું સૌથી જૂનું મમી રશિયાના મહાન ડૉક્ટરનું છે
આધુનિક કાળનું સૌથી જૂનું મમી રશિયાના મહાન ડૉક્ટરનું છે
ઓગણીસમી સદીમાં રશિયાનો નિકોલાઈ ઇવાનોવિચ પિરોગોવ તબીબી ક્ષેત્રના જાદુગર તરીકે મશહૂર હતો. પિરોગોવે શોધેલી કેટલીક મેડિકલ ઍન્ડ સર્જિકલ પ્રૅક્ટિસિસ અને પ્રોસીજર્સ આજે પણ જાણીતી છે. હાડકાં તૂટે ત્યારે પ્લાસ્ટરના કવચ વડે એને ફરીથી જોડી શકાય એ પદ્ધતિ પિરોગોવે શરૂ કરી હતી. ફીલ્ડ હૉસ્પિટલમાં ઇથર ઍનેસ્થેશિયા વાપરનારા પણ તેઓ પ્રથમ તબીબ હતા. આવી અનેક બાબતોની ભેટ પિરોગોવે તબીબી ક્ષેત્રને આપી છે. ૧૮૧૦માં જન્મેલા પિરોગોવ તબીબી સંશોધનો ઉપરાંત આધુનિક સમય ગાળાના સૌથી જૂના મમી માટે પણ જાણીતા છે. રશિયાના મહાન ફિઝિશ્યન અને ફાધર ઑફ મૉડર્ન સર્જરી તરીકે વિખ્યાત પિરોગોવ ૧૮૮૧માં મૃત્યુ પામ્યા હતા. તેમનું શરીર ૧૪૦ વર્ષથી યુક્રેનના વિનિત્સા ગામના ચર્ચ-ચૅપલમાં સચવાયું છે. માનવમૃતદેહને સાચવવાની જે રાસાયણિક રીત પિરોગોવે શોધી હતી એ જ રીત વડે તેમનો મૃતદેહ કેટલાક રાસાયણિક પદાર્થો ભરીને સાચવવામાં આવ્યો છે. એ પ્રક્રિયા પિરોગોવના શિષ્ય વ્યાવોત્સીએ કરી છે. આ મૃતદેહ રૂમ-ટેમ્પરેચરમાં રાખવામાં આવ્યો છે અને એના કાચના આવરણ પર ધૂળ જામે કે વાતાવરણમાં અન્ય ફેરફાર થાય ત્યારે પણ રાસાયણિક મસાલા ભરેલા મૃતદેહને સાચવવા માટે ઝાઝી કડાકૂટ કરવી પડતી નથી, પરંતુ આધુનિક કાળમાં ખ્યાતનામ મનાતા મમી કે સચવાયેલા મૃતદેહોમાંથી એક રશિયાના ક્રાન્તિકારી નેતા વ્લાદીમિર ઇલ્યિચ લેનિનના મૃતદેહને લો ટેમ્પરેચરમાં રાખવા ઉપરાંત સ્પેશ્યલ અન્ડરગ્રાઉન્ડ ક્લિનિકમાં મેન્ટેનન્સ માટે લઈ જઈને અનેક પ્રકારની કાળજી રાખવી પડે છે, પરંતુ પિરોગોવના મૃતદેહ માટે કોઈ ચિંતા કરવાની જરૂર પડતી નથી.