બોલો, મદરેસામાં વિદ્યાર્થીઓને ગીતાના શ્લોક ભણાવાય છે!
મદરેસામાં વિદ્યાર્થીઓને ગીતાના શ્લોક ભણાવાય છે
ભારત વિવિધતાવાળો દેશ છે અને અનેકતામાં એકતા એ દેશની સદીઓ જૂની ઓળખ છે. સાંપ્રદાયિક સૌહાર્દ દ્વારા સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનારા આ દેશમાં એકબીજાનું સન્માન કરવું એ જીવન જીવવાની કળા છે. મદરેસાઓનું નામ આવે ત્યાં જ આપણા માટે એ ધાર્મિક શિક્ષણ માટે બનેલા કેન્દ્ર નજર આવે છે, પરંતુ મુરાદાબાદની એક મદરેસામાં એક એવી પહેલ કરાઈ છે જેનાં દરેક જણ વખાણ કરી રહ્યા છે.
ભોજપુરમાં આવેલી મદરેસામાં વિદ્યાર્થીઓને સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને શ્રીરામચરિત માનસથી લઈને ગીતાના દરેક શ્લોકનો અર્થ સમજાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ જ્યાં સંસ્કૃતના અભ્યાસમાં રસ દાખવી રહ્યા છે ત્યાં મદરેસાના મૅનેજર એને દેશને જાણવાની અને સમજવાની પહેલ ગણાવી રહ્યા છે.
ADVERTISEMENT
મદરેસામાં ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. મદરેસામાં તમામ વિષયોના શિક્ષણ સાથે સંસ્કૃતનો પણ અભ્યાસ કરાવાઈ રહ્યો છે અને સંસ્કૃતના પૌરાણિક ગ્રંથો દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઈ રહ્યું છે. એક બાજુ રામચરિત માનસ દ્વારા ભગવાન રામના જીવન સંલગ્ન પહેલુઓ છે તો બીજી બાજુ ગીતા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદ વિદ્યાર્થીઓને ઇતિહાસની જાણકારી આપે છે.
આ પણ વાંચો : આખી સ્ટેનલેસ સ્ટીલની ત્રણ માળની સુપર યૉટ ખરીદવા અબજોપતિઓ કતારમાં છે
બારમા ધોરણ સુધીનું શિક્ષણ આપતી આ મદરેસામાં વિદ્યાર્થીઓ માટે સંસ્કૃતનો અભ્યાસ ફરજિયાત છે. દરરોજ બાળકોને સંસ્કૃત ભાષામાં લખાયેલા શ્લોકોનો અનુવાદ કરીને સમજાવાય છે. બાળકોને આપવામાં આવી રહેલી આ તાલીમથી અનેક વાલીઓ સંતુષ્ટ છે અને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરે છે.