હવે ખેડૂતો પોતાની મરજી પ્રમાણે પાક વીમો લઈ શકશે
દિલ્હીના રાજપથમાં આયોજિત હુનર હાટમાં ગઈ કાલે વડાપ્રધાન મોદીએ લિટ્ટ-ચોખાનો સ્વાદ માણ્યો હતો. તસવીર : પી.ટી.આઇ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કૅબિનેટ બેઠકમાં ખેડૂતોને મોટી ભેટ આપી છે. સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને હવે સ્વૈચ્છિક બનાવી દીધી છે. હવે કૃષિ ધિરાણ પર પાક વીમો લેવો ફરજિયાત નહીં. આ સિવાય નૉર્થ ઈસ્ટના ખેડૂતો માટે પાક વીમાનું ૯૦ ટકા પ્રીમિયમ સરકાર આપશે. કૅબિનેટે વ્યાજ સહાયતા યોજનામાં લાભને બે ટકાથી વધારીને ૨.૫ ટકા કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.
સરકારના આ નિર્ણયથી ૯૫ લાખ ડેરી ખેડૂતોને ફાયદો થશે. કૅબિનેટની બેઠક પૂરી થયા પછી કેન્દ્રીયપ્રધાન પ્રકાશ જાવડેકરે અને કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે પ્રેસ કૉન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પ્રીમિયમનું ૫૦-૫૦ ટકા યોગદાન આપે છે. જોકે નૉર્થ-ઈસ્ટના ખેડૂતો માટે સરકારે મોટું પગલું ભર્યું છે. અહીં પાક વીમા પ્રીમિયમમાં ૯૦ ટકા યોગદાન કેન્દ્ર અને ૧૦ ટકા રાજ્યનું રહેશે. આ સિવાય ૩ ટકા યોજનાની રકમ પ્રશાસનિક વ્યવસ્થા પર રહેશે.