બીમાર પત્નીથી કંટાળેલા પતિએ કરી હતી બે બાળકોની ક્રૂર હત્યા
પનવેલનાં ભાઈ-બહેન ૮ વર્ષનો પરાગ અને ૧૦ વર્ષની જાહ્નવી શાહની હત્યા તેમના જ પિતા નીતિન શાહે કરી હોવાનું જાણવા મળ્યું છે. પત્નીની માનસિક બીમારીને કારણે બાળકોની ચિંતા કરીને કંટાળી ગયેલા નીતિન શાહે તેમની હત્યા કરી હતી અને ત્યાર બાદ પોતે પણ આત્મહત્યા કરીને આખી ફૅમિલીનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. નીતિન ગુરુવારે સવારે કસારા ઘાટના જંગલમાં બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેણે પોતાના કાંડા પર ઘા મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. અત્યારે નીતિનને જેજે હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પનવેલના રિચીરિચ રેડીમેડ ગાર્મેન્ટ શોરૂમમાં સેલ્સમૅનની જૉબ કરતો માહેશ્વરી વૈષ્ણવ જ્ઞાતિનો નીતિન પોલીસને ગઈ કાલે સવારે જ્યાં તેનાં બાળકો મળી આવ્યાં હતાં એ કસારા ઘાટમાંથી જ મળી આવ્યો હતો. તે બેભાનાવસ્થામાં મળ્યો હતો. તેના કાંડા પર ઊંડા જખમ હતા અને એમાંથી ઘણું લોહી વહી ગયું હતું. પોલીસે કહ્યું હતું કે નીતિને કબૂલ્યું છે કે તે પત્નીની માનસિક બીમારીથી કંટાળી ગયો હતો. છેલ્લાં પાંચ વર્ષથી તેની બીમારીનો ઇલાજ કરાવી રહ્યો હતો. તે પોતે આત્મહત્યા કરવા માગતો હતો, પણ બાળકોની અને તેમના ભવિષ્યની તેને ચિંતા થતી હતી એટલે તેણે બાળકોનાં ગળાં દબાવી તેમને મારી નાખ્યાં હતાં અને ત્યાર બાદ ગુરુવારે પોતે કાંડાની નસ કાપીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પત્નીના ઇલાજથી પરેશાન
કસારા પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમે નીતિનને પહેલાં થાણેની સિવિલ હૉસ્પિટલમાં અને ત્યાર બાદ જેજે હૉસ્પિટલમાં ખસેડ્યો છે. તે સાજો થશે ત્યાર બાદ તેના પર શું ઍક્શન લેવી એ નક્કી કરીશું.’
કસારા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રમેશ ઘડવલેએ કહ્યું હતું કે ‘નીતિન વાઇફની માનસિક બીમારીનો છેલ્લાં પાંચ વર્ષથી ઇલાજ કરાવી રહ્યો હતો. તદ્દન હતાશ થઈ જતાં તેણે આવું અંતિમ પગલું ભરવું પડ્યું હતું.’
બીજી વાર જ્યારે પોલીસે કસારા ઘાટની તપાસ કરી ત્યારે તેમને નીતિન ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો.
પોલીસે કહ્યું હતું કે ‘અમને નીતિન પર શંકા હતી. અમને લાગ્યું હતું કે નીતિન પોતાનાં બાળકોની હત્યા કરીને નાસી ગયો હશે અને પોલીસથી બચવા નાસતો ફરી રહ્યો હશે અથવા તો તેણે આત્મહત્યા કરી લીધી હશે.’
થાણે રૂરલ પોલીસના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ રવીન્દ્ર સેનગાવકરે કહ્યું હતું કે ‘બાળકોના મૃતદેહ મળી આવ્યા બાદ અમે નીતિનને શોધી રહ્યા હતા. અમે ગુરુવારે બીજી વાર એક ટીમને કસારા ઘાટમાં તપાસ માટે મોકલાવી હતી, જ્યાં અમને એક ઝાડ નીચે નીતિન બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેનાં બંને કાંડાં પર તેણે જાતે કરેલા જખમ હતા.’
શું બન્યું હતું?
સોમવારે પપ્પા નીતિન સાથે ફરવા નીકળેલો પરાગ અને તેની બહેન જાહ્નવીના મૃતદેહ મંગળવારે કસારા ઘાટમાંથી મળી આવ્યા બાદ પોલીસ તેમના પિતા નીતિનને શોધી રહી હતી. ગુરુવારે સવારે બન્ને બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પનવેલના મારુતિ અપાર્ટમેન્ટની ‘બી’ વિંગમાં રહેતા નીતિન શાહના પરિવારમાં પત્ની અને બે બાળકોનો સમાવેશ હતો. સોમવારે સવારે તેઓ ફરવા નીકળ્યાં હતાં અને મંગળવારે બન્ને બાળકોના મૃતદેહ કસારા ઘાટમાંથી મળી આવ્યા હતા. બન્ને બાળકોનું ગળું દબાવીના તેમને ઘાટમાં ફેંકી દેવામાં આવ્યાં હતાં. જોકે તેમના પપ્પા નીતિનનો કોઈ જ પત્તો નહોતો લાગ્યો.