આનંદોઃ ઇતિહાસમાં પ્રથમ વખત નર્મદા ડૅમના દરવાજા ખૂલ્યા
ખુલ્યા નર્મદા ડેમના દરવાજા
સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત તેમ જ મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ખાતે સરદાર સરોવર ડૅમની જળસપાટી ૧૩૧.૨૦ મીટર ઉપર પહોંચી છે. ડૅમમાં હાલ ૬,૨૩,૬૩૫ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે ૫૦,૦૭૦ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. શુક્રવારે વહેલી સવારે નર્મદા બંધના ૨૬ દરવાજા ૧ મીટર જેટલા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. સીએમ અને ડેપ્યુટી સીએમે જળપૂજા કરીને નર્મદા નીરનાં વધામણાં કર્યાં હતાં. બાદમાં ડૅમના દરવાજા ખોલવામાં આવતાંની સાથે જ નર્મદા નદીનાં નીર ખળખળ કરીને સૂકીભઠ્ઠ પડેલી નર્મદા નદીમાં ઠલવાયાં હતાં. રૂપાણીએ વધુમાં કહ્યું કે ઈશ્વરની કૃપાથી વરસાદ ખૂબ સારો છે ત્યારે નર્મદા બંધને મંજૂરી મેળવીને તબક્કાવાર ૧૩૮ મીટરની પૂર્ણ ઊંચાઈ સુધી ભરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રીએ કહ્યું કે ગઈ રાતથી ૧૨૦૦ મેગાવૉટ જળ વીજળીનું ઉત્પાદન શરૂ થયું છે.
નર્મદા ડૅમમાંથી કુલ આઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં આસપાસનાં નીચાણવાળાં ગામોને અલર્ટ આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ભરૂચ, નર્મદા, કેવડિયા આસપાસનાં ૨૦થી વધુ ગામોના લોકોને નર્મદા નદીની નજીક નહીં જવા અલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
સરદાર સરોવર ડૅમના દરવાજા પ્રથમ વખત ખોલવામાં આવ્યા છે. આ ગુજરાત માટે એક ઐતિહાસિક ક્ષણ સમાન છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આજે વહેલી સવારે કેવડિયા નર્મદા ડૅમ ખાતે આવી પહોંચ્યા હતા અને બાદમાં ડૅમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. દરવાજા ખૂલતાં જ બંધમાંથી પાણીનો જથ્થો વહેતો હોવાનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. ભરૂચ ગોલ્ડન બ્રિજ પર નર્મદાની જળસપાટી ૨૦ ફીટ પર પહોંચી હોવાનું જણાયું છે.
નર્મદા ડૅમમાં પાણીની આવકમાં સતત વધારો થતો હોવાથી દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત કરજણ ડૅમમાંથી પણ નર્મદા અને કરજણ નદીમાં ભારે માત્રામાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો હોવાથી ગરુડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના નદીકાંઠાનાં ગામોના ગ્રામજનોને સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં સવારથી અનરાધાર : મોસમનો કુલ 22.5 ઈંચ વરસાદ નોંધાયો
બીજી તરફ નર્મદા ખાતે ગોરા બ્રિજ વહાનવ્યવહાર માટે બંધ કરાયો છે. આ રૂટ પર નહીં જવા તંત્રએ ચેતવણી આપી છે અને ભંડારા-ગરુડેશ્વર કેવડિયાના વૈકલ્પિક માર્ગેથી જવા માટે જણાવાયું છે.