મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર થયેલા ઍક્સિડન્ટમાં પતિ-પત્નીનાં મોત
કાર એક્સિડેન્ટ
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર રવિવારે મોડી રાતે કારના થયેલા ઍક્સિડન્ટમાં અંધેરીના ચકાલામાં રહેતાં પતિ-પત્નીનાં મોત થયાં હતાં, જ્યારે તેમની દીકરી, પુત્રવધૂ, પૌત્ર-પૌત્રી બચી ગયાં હતાં. આ અકસ્માત એટલો ભયંકર હતો કે હાઇવે પર સુરક્ષા માટેની લોખંડની રેલિંગ કારમાં ઘૂસીને આરપાર નીકળી ગઈ હતી, જેમાં ડ્રાઇવરની બાજુમાં બેસેલા વૃદ્ધ અને તેમની પાછળ બેસેલાં તેમનાં પત્નીના શરીરને વીંધીને લોખંડની રેલિંગ પાછળની સીટની આરપાર નીકળી ગઈ હતી. જખમીઓને નવી મુંબઈના કામોઠેની એમએજીએમ હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ખોપોલી પોલીસે જણાવ્યું કે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અગોશી ગામ પાસે મુંબઈ તરફ આવી રહેલી એક કારના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં કાર ડાબી બાજુએ સુરક્ષા માટેની રેલિંગમાં ઘૂસી ગઈ હતી અને કારમાં ડ્રાઇવરની બાજુમાં બેસેલા ૭૦ વર્ષના મોતીરામ મોતીવાલે અને તેમની પાછળ બેસેલાં ૬૫ વર્ષનાં તેમનાં પત્ની ઉષા મોતીવાલેના શરીરને વીંધી નાખ્યાં હતાં. મોતીરામના ખોળામાં બેસેલો બે વર્ષના પૌત્ર ઈશાનને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ડ્રાઇવર અને તેની પાછળ બેસેલા મોતીરામનાં પુત્રી કિરણ બચી ગયાં હતાં.