શિવસેનાએ એનપીઆર-સીએએ મુદ્દે સમર્થન કરતાં કૉન્ગ્રેસ-એનસીપી લાલચોળ
ઉદ્ધવ ઠાકરે
નાગરિકતા સંશોધન કાયદા અને નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર પર શિવસેનાની ભૂમિકાને લઈને કૉન્ગ્રેસ પાર્ટીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પર નિશાન સાધ્યું છે. કૉન્ગ્રેસ સંસદસભ્ય મનીષ તિવારીએ આ અંગે એક ટ્વીટ કરી જેમાં તેમણે લખ્યું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન નાગરિકતા સંશોધન કાયદા, નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ વચ્ચે જે કડીઓ છે, તેઓ સમજાવે કે કઈ રીતે એનપીઆર અને એનઆરસી જોડાયેલા છે. એનપીઆર આ માટે આધારની જેમ કામ કરશે.
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ઉદ્ધવ ઠાકરેએ પીએમ મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ સાથે તિવારીએ કહ્યું કે એક વાર એનપીઆર લાગુ થયો તો એનઆરસીને કોઈ રોકી શકશે નહીં. નાગરિકતા કાયદાને ભારતીય બંધારણ મુજબ બદલવામાં આવે, કારણ કે નાગરિકતા કાયદો ધર્મના આધારે બનાવી શકાય નહીં.
ADVERTISEMENT
આ બધા વચ્ચે નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટરને લઈને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ પણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ધમકીભર્યા અંદાજમાં ચેતવ્યા છે. અબુ આઝમીએ કહ્યું કે જે પ્રકારે કેરળ અને બંગાળમાં પ્રસ્તાવ પાસ થયો એ જ રીતે મહારાષ્ટ્ર પણ કરે. આ કાયદાથી મુસલમાનોને પરેશાની થશે. જો મહારાષ્ટ્રમાં જનગણતરીની જેમ જ એનપીઆર લાગુ કરાયો તો ઠીક નહીં થાય. અમે એનો વિરોધ કરીએ છીએ. હાલમાં અમે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ભલામણ કરી રહ્યા છીએ, પરંતુ જરૂર પડી તો અમે એનો આકરો વિરોધ કરતા પણ ખચકાઈશું નહીં.