મહારેરામાં રજિસ્ટ્રેશન કરાવવાનો અર્થ પ્રોજેક્ટ ઑકે છે એવો નથી થતો
રમેશ પ્રભુ અને અવિનાશ પવાર
મહારેરામાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરાવવાનો એ અર્થ બિલકુલ નથી થતો કે પ્રોજેક્ટ નિર્ધારિત સમયમાં પૂરો થશે. કાનૂની નિષ્ણાતોએ જણાવ્યા મુજબ મહારેરામાં પ્રોજેક્ટના રજિસ્ટ્રેશન વખતે બિલ્ડરો દ્વારા સુપરત કરવામાં આવતી વિગતોની ચકાસણી કરવામાં આવતી ન હોવાથી આવા કોઈ પણ પ્રોજેક્ટમાં નાણાં રોકતાં પહેલાં તમામ પાસાઓ વિશે સંપૂર્ણ તપાસ કરવાની જવાબદારી ફ્લૅટ ખરીદનારા ગ્રાહકોની રહેશે.
રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં પારદર્શિતા લાવવા અને લોકોના હિતની સુરક્ષા થાય એ સુનિશ્ચિત કરવા માટે જ રેરાની રચના કરવામાં આવી હતી, પરંતુ ઉપરોક્ત બાબત રેરાની રચનાના મૂળ હેતુને જ નિરર્થક ઠરાવે છે.
ADVERTISEMENT
મહારેરાની રચનાથી જ એના સંબંધિત કેસ સંભાળતા ઍડ્વોકેટ નીલેશ ગાલા જણાવે છે કે ‘રેરા ઍક્ટની સંરચના મહારાષ્ટ્રમાં રિયલ એસ્ટેટના તમામ પ્રોજેક્ટને યોગ્ય મંજૂરીઓ, શિર્ષકો અને એ પ્રોજેક્ટ માટે મળતા ભંડોળનો ઉપયોગ ફક્ત બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે એની ખાતરી કરવા માટે જ કરવામાં આવી હતી. આ ઍક્ટ ફ્લૅટ ખરીદદારોના હિતને સુરક્ષિત રાખવાનો હતો. એવું માનવામાં આવતું હતું કે રેરા રજિસ્ટર થયેલ પ્રોજેક્ટ તમામ મુશ્કેલીઓથી મુક્ત હશે અને આવા પ્રોજેક્ટ્સને સ્પષ્ટ માર્કેટિંગ ટાઇટલ મળશે.’
મહારેરા દ્વારા પસાર કરવામાં આવેલા વિવિધ આદેશ પરથી એવું ફલિત થાય છે કે ભલે રજિસ્ટર્ડ કરાવેલા હોય એમ છતાં ફ્લૅટના ખરીદદારોએ પોતાનાં નાણાંનું રોકાણ કરતાં પહેલાં સાવધાન રહેવાની તેમ જ તમામ પાસાની ચકાસણી કરવી આવશ્યક છે.
રેરાની કલમ ૪ મુજબ રજિસ્ટ્રેશન વખતે બિલ્ડરે જમીનના ટાઇટલ્સ, બિલ્ડિંગના બાંધકામની મંજૂરી, મંજૂર કરાયેલી યોજનાઓ, પ્રમોટરના બૅકગ્રાઉન્ડ (પૃષ્ઠ ભૂમિ) વગેરે તમામ વિગતો જણાવવાની રહે છે. ઘર ખરીદવા ઇચ્છતા ગ્રાહકો મહારેરા પાસે કરાયેલા રજિસ્ટ્રેશન પર વિશ્વાસ કરીને ઘર ખરીદ કરતા હોય છે.
જોકે કમનસીબી છે કે રેરા પ્રમોટરો પર વિશ્વાસ કરીને પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન કરે છે, પરંતુ વાસ્તવમાં પ્રમોટરો સાચી વિગતો રજૂ કરે છે કે નહીં એની ખાતરી કરતા નથી, એમ મહાસેવાના સહસંસ્થાપક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ રમેશ પ્રભુએ જણાવ્યું હતું.