મુંબઈ: 15 ઑગસ્ટે 5000 મુંબઈગરાઓ ઇકો ફ્રેન્ડલી રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરશે
રાષ્ટ્રધ્વજ
૧૫ ઑગસ્ટે રાષ્ટ્રધ્વજને પોતાના ઘરમાં, કામની જગ્યાએ, ડેસ્ક પર મૂકી અથવા બ્રોચ તરીકે પહેર્યા બાદ એ જ રાષ્ટ્રધ્વજને કુંડામાં વાવી એમાંથી તુલસી, મોગરો અથવા બીજા છોડ ઘરના આંગણે વાવવામાં આવશે. ખુશીયા ફાઉન્ડેશનના આ પ્રયોગમાં મુંબઈના પાંચ હજારથી વધુ નાગરિકો જોડાયા છે અને તેઓ આ સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રધ્વજને કુંડામાં રોપી પાંચ હજાર છોડ વાવશે.
ખુશીયા ફાઉન્ડેશનના ફાઉન્ડર ચિનુ ક્વાત્રાએ જણાવ્યું હતું કે ‘નાગરિકોની દેશભક્તિને હું એક પૉઝિટિવ ઉદ્દેશથી સામે લાવવા માગતો હતો. ૧૫ ઑગસ્ટે લોકો ધ્વજ ખરીદે છે પણ એ પ્રસંગ પૂર્ણ થયા બાદ રાષ્ટ્રધ્વજને ડિઝપોઝ કરવાની સાચી પદ્ધતિ અનુસરવામાં આવતી નથી. તેથી જો નાગરિકો ઇકો ફ્રેન્ડલી રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરશે તો ૧૫મી ઑગસ્ટ પછી પોતાના ઘરે નાના કુંડામાં આ ફ્લેગને માટીમાં દાટી એક છોડ વાવી શકે છે.’
ADVERTISEMENT
રાષ્ટ્રધ્વજને કુંડામાં રોપતાં ઊગશે તુલસી અને મોગરો
વકીલ અભિ શેઠના જણાવ્યા પ્રમાણે ફ્લેગ કોડ ઑફ ઇન્ડિયા ૨૦૦૨ અનુસાર, પેપર અથવા કાપડના રાષ્ટ્રધ્વજને નાશ કરવા માટે બે પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ અનુસાર બાળીને નાશ કરી શકાય અને બીજી જમીનમાં દાટીને.
આ પણ વાંચો :રિક્ષાચાલકે રેલવે પ્લેટફોર્મ પર ભીડ વચ્ચે ચલાવી રિક્ષા, કારણ જાણીને ચોંકી જશો
કેવી રીતે બને છે સીડ્સ ફ્લેગ?
પેપર સીડ્સ બનાવનાર દર્શના શાહે કહ્યું હતું કે ‘ફ્લેગ્સ બનાવવા વપરાતા પેપર પલ્પમાં જુદા જુદા પ્રકારનાં બીજ ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ પલ્પને પેપર શીટનું સ્વરૂપ આપી કટિંગ કર્યા બાદ ચોરસ ટુકડા પર ઓર્ગેનિક રંગની નારંગી અને લીલી પટ્ટીઓ ફીટ કરવામાં આવે છે. રાષ્ટ્રધ્વજમાં બીજ એવાં પ્રકારના વપરાય છે કે એ, આ ફ્લેગ્સ કુંડામાં વાવ્યા બાદ એક અઠવાડિયાની અંદર એમાંથી છોડ નીકળવાનું શરૂ થાય છે.’