પાલઘર લિન્ચિંગ કેસ : થાણે કોર્ટ દ્વારા 54 આરોપીઓને જામીન મળ્યા
પ્રતીકાત્મક તસવીર
પાલઘર લિન્ચિંગ કેસમાં થાણે સ્પેશ્યલ સેશન્સ જજ પી. પી. જાધવે ૫૪ આરોપીઓના પ્રત્યેકના ૧૫ હજાર રૂપિયાના પર્સનલ બાઉન્ડ સાથે જામીન આપ્યા હતા.
જામીન મળેલા લોકોમાં આઠ આરોપીઓનો પણ સમાવેશ છે જેમને ૨૦૨૦ની ૧૬ એપ્રિલના રાતે ગુના થયા બાદ તરત ધરપકડ કરવામાં આવી હતી. જેલની બહાર આવનાર બાકીના ૪૬ જણને સ્ટેટ સીઆઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓમાં વિવિધ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લિન્ચિંગના વિડિયો શૅર કરવાના આરોપમાં હતા.
ADVERTISEMENT
બીજેપી દ્વારા લિન્ચિંગ કેસને સીબીઆઇને ટ્રાન્સફર કરવાની માગણી કરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે લિન્ચિંગ મામલાની સીબીઆઈ તપાસની માગણી કરતી અરજીને આગામી સપ્તાહ સુધી સ્થગિત કરી દીધી હતી. આરોપી આદિવાસીઓનું પ્રતિનિધિત્વ કરતા અમૃત અધિકારી અને અતુલ પાટીલે થાણે કોર્ટને જણાવ્યું હતું કે જામીન માટે અરજી કરનારા આરોપીઓની લિન્ચિંગની ઘટનામાં કોઈ ભૂમિકા ભજવી નથી અને માત્ર શંકાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઇડીએ આ કેસમાં ત્રણ ચાર્જશીટ ફાઇલ કરી છે અને કુલ ૨૩૮ ધરપકડ કરાઈ છે, જેમાં ૧૧ સગીરનો સમાવેશ પણ છે. એમાંથી નવ સગીર સહિત ૭૭ આદિવાસીઓ હાલમાં જામીન પર બહાર છે અને આશરે ૧૩૫ આરોપીઓ ફરાર છે.
રાજ્યના સરકારી વકીલ સતીષ માનેશિંદે ફરિયાદી પક્ષ માટે હાજર થયા હતા, જ્યારે ઍડ્વોકેટ પી. એન. ઓઝા મરનાર સાધુઓના પરિવાર તરફથી હાજર થયા હતા. થાણે કોર્ટ દ્વારા અન્ય આરોપીઓની જામીન અરજીઓની સુનાવણી પાંચ ડિસેમ્બરે થવાની સંભાવના છે. તમામ આરોપીઓ ગડચીનચેલે, દહાણુના દિવશી, ખાનવેલ અને કેન્દ્રશાસિત દાદરા, નગર અને હવેલીના અન્ય ગામોના છે જેમની સરહદ લિન્ચિંગ સ્થળથી માત્ર ૫૦૦ મીટર દૂર છે.