કોરોનાની મુંબઈમાં ગંભીર અસર: આવક ઘટતાં બીએમસી ખર્ચ પર કાપ મૂકશે
કોસ્ટલ રોડ પ્રોજેક્ટને જરૂરી ભંડોળ મળવાનું ચાલુ રહે તેવી શક્યતા છે
કોરોનાના કારણે થયેલી ખોટને કારણે વિકાસનાં કાર્યો પ્રભાવિત થયા હોવા ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના પ્રોજેક્ટ્સ માટેની ફાળવણીને પણ અસર પડવાની છે. વળી તે નાણાકીય વર્ષે ચૂંટણી પણ યોજાવાની છે. આગામી વર્ષના મનપાના અંદાજપત્રમાં આ કાપ પ્રતિબિંબિત થશે અને તે માટેની કામગીરી શરૂ થઈ ચૂકી છે.
આ વર્ષે મૂડી ખર્ચમાં ૨૫૦૦ કરોડ રૂપિયા ઘટાડ્યા બાદ વિભાગોને ૨૦૨૧-૨૨ના વર્ષ માટે તેમની જરૂરિયાતોમાં ૨૦-૨૫ ટકા કાપ મૂકવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે ચૂંટણીના સમયમાં રાજકીય દબાણને ધ્યાનમાં રાખીને બીએમસી ફેન્સી પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે તેની ફિક્સ ડિપોઝિટનો ઉપયોગ કરે તે શક્ય છે. મનપાની ચૂંટણીઓ જાન્યુઆરી-ફેબ્રુઆરી, ૨૦૨૨માં યોજાશે.
ADVERTISEMENT
મનપાના એક મહત્ત્વના વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે દરેક વિભાગ ગયા વર્ષના આધારે તેની જરૂરિયાતો મોકલે છે. જે વિભાગોએ જરૂરી કાપ ન મૂક્યો હોય તેમને તેમની મૂડી જરૂરિયાતોમાં સુધારો કરવા જણાવાયું હતું. બીએમસી આરોગ્ય વિભાગને તથા એક વર્ષથી વિલંબમાં મુકાયેલા કોસ્ટલ રોડને પૂરતું ભંડોળ ફાળવશે.
બીએમસી આવકના મુખ્ય ચાર સ્રોત ધરાવે છે – ઑક્ટ્રૉય માટેનું વળતર, પ્રૉપર્ટી ટૅક્સ, ડેવલપમેન્ટ પ્લાનિંગ અને પાણી અને સૂઅરેજના ચાર્જ. આ તમામનું યોગદાન ૨૨,૦૦૦ કરોડ રૂપિયા છે. બીએમસી ઑક્ટ્રૉય માટે વળતર (વર્ષે ૯૭૯૯ કરોડ રૂપિયા) મેળવતું હોવા છતાં પ્રૉપર્ટી ટૅક્સ ડેવલપમેન્ટ પ્લાનિંગ (બિલ્ડિંગ પ્રપોઝલ્સ) થકીની આવક અધ્ધરતાલ છે. અત્યાર સુધીમાં બીએમસીએ કોરોના પાછળ ૨૦૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચ કર્યો છે અને તેની ખોટનો આંક ૧૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલો હોઈ શકે છે.