મુંબઈ : 2000 કિલોમીટર - T1C1 ટાઇગરની સફર
વાઘ
મહારાષ્ટ્રના વિદર્ભના ટીપેશ્વર વન્યજીવન અભયારણ્યથી લગભગ ૨૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને T1C1 (ટાઇગ્રેસ વન-ટી1ના ત્રણ કબ કે બચ્ચામાંનું નંબર વન બચ્ચું એટલે T1C1) વાઘ મરાઠવાડાના જ્ઞાનગંગા અભયારણ્યમાં પહોંચ્યો હોવાનું વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ નોંધ્યું છે. હવે એ T1C1 વાઘ આગળ જાય એવી શક્યતા જંગલ ખાતાના અધિકારીઓ અને નિષ્ણાતોને જણાતી નથી. એવા સંજોગોમાં એની સાથે સંવનન-પ્રજનનના હેતુસર અન્ય વાઘ જંગલમાં છોડી શકાય કે નહીં એની તપાસ માટે સમિતિ નિયુક્ત કરવામાં આવી છે.
અન્ય વિજ્ઞાનીઓ સાથે મળીને T1C1 વાઘની હિલચાલને નોંધતાં વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. બિલાલ હબીબે જણાવ્યું કે ‘અમારી ટીમ T1C1 વાઘની હિલચાલ બરાબર નોંધે છે. એ નોંધ મુજબ આ વાઘે અત્યાર સુધીમાં વિદર્ભના ટીપેશ્વર અભયારણ્યથી લગભગ ૨૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે. હાલમાં એ વાઘ મરાઠવાડાના જ્ઞાનગંગા અભયારણ્યમાં છે. એ ત્યાં સ્થાયી થયો હોય એવું જણાય છે. ત્યાંથી આગળ વધે એવી કોઈ શક્યતા જણાતી નથી, કારણ કે જો એ ક્યારેક જંગલની બહાર જાય તો પણ પાછો આવે છે. T1C1ના સાથીરૂપે અન્ય વાઘને અંદર છોડવાની શક્યતા તપાસવા સમિતિ નીમવામાં આવી છે. T1C1 વાઘના રેડિયો-કૉલરની બૅટરીનું ચાર્જિંગ પૂરું થવાની તૈયારી હોવાથી બૅટરી બદલવાની પણ તૈયારી કરવામાં આવી છે. ટાઇગર ડિસ્પર્સલ પ્રોજેક્ટના ભાગરૂપે ૨૦૧૯ની ૨૭ ફેબ્રુઆરીએ T1C1ને રેડિયો-કૉલર લગાવવામાં આવ્યો હતો.
અમારી ટીમ T1C1ની હિલચાલ પર સતત નજર રાખી રહી છે અને અત્યાર સુધીમાં એણે ૨૦૦૦ કિલોમીટર જેટલો પ્રવાસ કર્યો છે. અત્યારે એ જ્ઞાનગંગા અભયારણ્યમાં છે અને હવે એ ત્યાં સ્થાયી થયો છે. તે હવે આગળ વધે એવી શક્યતા બહુ ઓછી છે.
ADVERTISEMENT
- ડૉ. બિલાલ હબીબ, વરિષ્ઠ વિજ્ઞાની