મુંબઈઃ મૉલ ખોલો અને નોકરીઓ બચાવો
મૉલ
રાજ્ય સરકારે હોટેલ અને લૉજ ખોલવાની પરવાનગી આપ્યા બાદ હવે રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ મૉલ ખોલવાની પરનવાનગી આપવા રાજ્ય સરકારને રજૂઆત કરી છે. કોરોનાના કારણે લોકડાઉનને લઇ પહેલું લોકડાઉન જાહેર થયું ત્યારથી મોલ બંધ છે. વેપાર જળવાઈ રહે અને એ દુકાનના કર્મચારીઓની નોકરી ટકી રહે એ માટે મૉલ ખોલવાની પરવાનગી આપવામાં આવે એ રીતની રજૂઆત કરવામાં આવી છે.
રીટેલર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા ૧૦૦ દુકાનોના કરાવાયેલા સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે જે દુકાનો ખૂલી છે એમાં પણ જૂનના છેલ્લા પખવાડિયામાં કોઈ ખાસ ધંધો જોવા મળ્યો નથી. ઊલટું એમાં ૬૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. અસોસિએશન દ્વારા કરાયેલા ટ્વીટમાં પર્યાવરણ પ્રધાન અને મુંબઈ સબર્બના પાલક પ્રધાન આદિત્ય ઠાકરેને કન્ટેનમેન્ટ ઝોનની બહારના મૉલ ખોલવાની વિનંતી કરતાં કહેવાયું છે કે ‘હોટેલને હવે ખોલવાની પરવાનગી અપાઈ છે એ જાણીને આનંદ થયો. હવે રાજ્યમાં મૉલ ખોલવા પણ અમને સહાય કરો. સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર હેઠળ બીજાં રાજ્યોમાં મૉલ વ્યવસ્થિત ચાલી રહ્યા છે. એ જ રીતે એ અહીં પણ અપનાવી ગ્રાહકોની અને કર્મચારીઓની સુરક્ષિતતા રાખી શકાય.’