નવી મુંબઈ: એપીએમસી બેમુદત બંધનું આંદોલન નહીં
ફાઈળ તસવીર
એપીએમસીના વેપારીઓએ સેસ સંદર્ભે ઑક્ટોબરથી સેસના વિરોધમાં અસહકાર આંદોલન કરવાની અને ત્યાર બાદ પણ જો સેસ નાબૂદ ન થાય તો બેમુદત બંધની ચેતવણી આપી હતી. જોકે હવે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારનાં ત્રણેય કૃષિ બિલ રાજ્યમાં લાગુ ન કરવાનો નિર્ણય લીધો હોવાથી હાલમાં વેપારીઓએ તેમના એ આંદોલનને મુલતવી રાખ્યું છે.
નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસી માર્કેટના વેપારીઓએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા નોટિફિકેશનને કારણે તેમના ધંધાને અસર થવાની સાથે વકરો ઓછો થઈ જતાં એપીએમસી દ્વારા લેવાતી સેસ નાબૂદ કરવાની રજૂઆત કરી હતી, પણ એ વિશે કોઈ ચોક્કસ નિર્ણય ન લેવાતાં વેપારીઓએ વેબિનાર પર મીટિંગ લઈને એનો વિરોધ કરવાનું અને ૧ ઑક્ટોબરથી સેસ ન ભરીને અસહકાર આંદોલન કરવાનું નક્કી કર્યું હતું.
ADVERTISEMENT
એપીએમસીના દાણાબજારના ડિરેક્ટર નીલેશ વીરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સંદર્ભે વેપારીઓના પ્રતિનિધિમંડળે શરદ પવાર, અજિત પવાર અને અન્ય નેતાઓને મળીને રજૂઆત કરી હતી છતાં એ વખતે કોઈ નિર્ણય લેવાયો નહોતો. ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડની આગેવાની હેઠળ આ બાબતે મીટિંગો લેવાઈ હતી જેમાં રાજ્યની ૩૦૫ એપીએમસીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. શુક્રવારે રાજ્ય સરકારે એવું જાહેર કર્યું હતું કે તેઓ કેન્દ્ર સરકારનાં ત્રણેય કૃષિ બિલ રાજ્યમાં લાગુ કરવા માગતી નથી.’