મુંબઈ : અજૉય મેહતા બનશે મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર
મહારાષ્ટ્રના ચીફ સેક્રેટરી અજૉય મહેતા
આઇએએસમાંથી ૩૦ જૂને નિવૃત્ત થયા પછી ચીફ સેક્રેટરી અજૉય મેહતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના મુખ્ય સલાહકાર તરીકેની ભૂમિકા નિભાવશે. મંત્રાલયમાં છઠ્ઠા માળની સીએમઓ સંકુલમાં બનાવવામાં આવેલી તેમની કૅબિનમાંથી તેઓ કાર્યભાર સંભાળશે.
ઉચ્ચ મંત્રાલયના અધિકારીએ ગઈ કાલે આ બાબતનું સમર્થન કરતાં કહ્યું હતું કે આઇએએસની 1984ના બૅચના અજૉય મેહતાની મે, 2019માં સીએસના પદ પર નિમણૂક કરવામાં આવી હતી. જોકે દેવેન્દ્ર ફડણવીસ સરકારે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સપ્ટેમ્બર, 2019થી માર્ચ 2020 સુધી તેમની સેવા છ મહિના લંબાવી હતી. ત્યાર બાદ કોરોના વાઇરસને કારણે તેમની સેવા વધુ ત્રણ મહિના લંબાવવામાં આવી હતી. આમ છ મહિનાથી વધુનો સમયગાળો મેળવનાર તેઓ પ્રથમ આઇએએસ અધિકારી બન્યા છે.
ADVERTISEMENT
જોકે મેહતા મુખ્ય પ્રધાનની ગુડ બુક્સમાં છે અને એનસીપી સુપ્રીમો શરદ પવાર સાથે મળીને કામ કરે છે તેમ છતાં સરકાર અને અમલદારશાહીના કેટલાક પદાધિકારીઓના તેમની સાથે લાંબા સમય સુધી મતભેદ ચાલતા રહ્યા છે. તેમના વિરોધીઓની આકરી ટીકા છતાં મેહતા સરકારના નિર્ણયોને પ્રભાવિત કરવામાં અડગ રહ્યા છે.
સીએસ માટે સંજય કુમાર ટોચના દાવેદાર
સૂત્રોએ જણાવ્યું હતું કે મેહતાના આઇએએસ બૅચના સાથી રહેલા સંજય કુમાર ઍડિશનલ મુખ્ય સચિવ (હાઉસિંગ અને હોમ), ટોચના પદ માટે માટે હૉટ ફેવરિટ છે. મુંબઈના ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેસી અને ઍડિશનલ મુખ્ય સચિવ (સેવાઓ) સીતારામ કુંટે (બન્ને 1985નો બૅચ) વરિષ્ઠતામાં તેમનાથી આગળ હોવા છતાં માત્ર કુમાર સાથે જ હરીફાઈ હતી.