ગણપતિબાપ્પા મોરયાઃ આપો સ્ટેશનરી પ્રસાદમાં અને દુઃખહર્તા બનો બાળકોના
ગણેશજી આવી ગયા છે અને આવતા એકાદ દિવસમાં તો નાની યાત્રાના ગણપતિ વિદાય લેવાનું પણ શરૂ કરી દેશે, પણ એ વિદાય લે એ પહેલાં એક વાતનું ધ્યાન રાખવાનું છે. તમારા ગણપતિ કોઈને હેરાન કરનારા ન બને, તમારો ઉત્સાહ કોઈને તકલીફ આપનારો ન બને એનું ધ્યાન રાખો. તમારા ઘરે આવેલા ગણપતિ માટે પણ આ જ વાત લાગુ પડે અને તમારી સોસાયટીમાં આવેલા ગણપતિ માટે પણ આ જ વાત લાગુ પડી શકે છે.
જે સુખ આપવા માટે આવ્યા છે, જે પ્રેમ વરસાવા માટે અને દુઃખ હરી લેવા માટે આવ્યા છે એ કોઈને તકલીફ આપે તો એ પીડા કેવી હોય એનો જરા વિચાર કરજો. ઘરમાં કોઈ સાજુમાંદું હોય, આજુબાજુમાં હૉસ્પિટલ હોય અને ત્યાં પેશન્ટસ હોય તો એનો વિચાર કરવાની જવાબદારી આપણી છે. જરૂરી નથી કે તમે ઓછો અવાજ થાય એવી રીતે રહેશો તો ગણપતિ વધારે ખુશ નહીં થાય. ના, જરા પણ એવું નથી. ઊલટું, બીજાને તકલીફ ન પડે એનું ધ્યાન રાખશો તો ગણપતિ વધારે ખુશ થશે. વધારે સારી રીતે તમારી સંભાળ રાખશે અને એ સંભાળમાં તમારા પ્રત્યેનો પ્રેમ પણ વધારે બળવત હશે. કોઈને નડતરરૂપ બનવાનું નથી, કોઈને તકલીફ પડે એવું કરવાનું નથી. હું તો ત્યાં સુધી કહીશ કે નૉઇસ પૉલ્યુશન થાય કે ઇલેક્ટ્રિસિટીનો વેડફાટ થાય એવું પણ કરવું નથી. પ્લાસ્ટર ઑફ પેરિસના ગણપતિ વિશે વધારે વાત નથી કરવી, કારણ કે પર્યાવરણનું ધ્યાન રાખવાનું છે એની બધાને ખબર પડી ગઈ છે એટલે મોટાભાગના લોકોના ઘરે કે પંડાલમાં ઇકો-ફ્રૅન્ડલી ગણપતિ જ આવે છે. માટીના ગણપતિ પણ હવે ઇનથિંગ્સ ગણાય છે, પણ આપણે ત્યાં મુંબઈમાં ચૉકલેટના ગણપતિની પણ એક સિસ્ટમ ઊભી થઈ છે. બહુ સારી વાત છે. ચૉકલેટના ગણપતિનું વિસર્જન દૂધમાં જ કરી દેવાનું અને એ દૂધ પ્રસાદ સ્વરૂપે સૌ કોઈને પીવડાવી દેવાનું. જો ઝૂંપડપટ્ટીનાં બાળકોને કે જરૂરિયાતમંદ બાળકોને પીવડાવો તો ખૂબ સારું. જન-જનમાં ગણપતિનો વાસ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: મિચ્છા મિ દુક્કડં:અહમ્ ઓગળે અને હૈયે અર્હમની સ્થાપના થાય એવી ભાવના સાથે
ગણપતિ માટે આવતો પ્રસાદ પણ હવે નવતર સ્વરૂપમાં મગાવવામાં આવી રહ્યો છે. ગુજરાતી થિયેટરના એક્ટર વિપુલ વિઠલાણીએ ગયા વર્ષથી તેના ઘરે આવતા મહેમાનો પાસે બાળકોની સ્ટેશનરી મગાવવાનું શરૂ કરી દીધું છે. પ્રસાદમાં સ્ટેશનરી જ લઈ આવો. ગણપતિ વિદાય લેતી વખતે જરૂરિયાતમંદ બાળકોના હાથમાં પેન્સિલ-રબ્બર અને બોલપેન બનીને વિદ્યાનું રૂપ લેશે. ઉમદા વિચાર છે આ. મીઠાઈનો વિરોધ નથી આ, પણ એનો અતિરેક ન થાય એ વાતની ચીવટ છે અને આવી ચીવટ ગણપતિ-ભક્તે લેવી જ રહી.
ટાઉનમાં એક પ્રૉડ્યુસર મિત્રના ઘરની નજીક હૉસ્પિટલ છે, તેમણે નિયમ કર્યો છે કે આ દિવસોમાં પ્રસાદ લઈને તેમને ત્યાં નહીં જવાનું. ખાલીહાથે ઘરે જવાનું અને ત્યાં ગણપતિ સામે પડેલાં હૉસ્પિટલના બિલ ઊંચકીને એમાં લખેલી રકમ એ જ બિલ સાથે જોડી દેવાની. પેલું બિલ જેનું હોય એને યજમાન ફોન કરીને ઘરે બોલાવીને એ બિલની આવી ગયેલી રકમ આપી દે. વિપુલ વિઠલાણી અને પેલા પ્રૉડ્યુસર મિત્રની વાત જાણી ત્યારે મને ખરેખર થયું હતું કે ગણપતિ અગિયાર દિવસ નહીં, અગિયાર મહિના રહેવા જોઈએ.