મિશન પાકિસ્તાન : જો જો લોહી ભલે વહે, પણ પાણી ન જવું જોઈએ
પ્રતીકાત્મક તસવીર
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ફાઇનલી એવું નક્કી થયું છે કે ભારતમાંથી પાકિસ્તાનમાં દાખલ થતી ત્રણ નદીઓનાં પાણી આપણે હવે પાકિસ્તાનમાં નહીં જવા દઈએ. ફાઇનલી, અંતે આપણે આ પગલું લઈ લીધું છે અને આ પગલાની તાતી જરૂર હતી. જે દેશ તમારા જવાનોના લોહીનો તરસ્યો હોય એ દેશની તરસ છીપાવવાની કોઈ આવશિયકતા નથી કે એ દેશના એક પણ પ્રકારના ધાનને પણ પાણી આપવાની કોઈ જરૂર નથી. આ નિર્ણય પછી કેટલાક માયકાંગલાઓએ પાકિસ્તાનનો પક્ષ લઈને દેકારો પણ શરૂ કર્યો છે અને પાકિસ્તાનની તરફેણ કરતાં કહ્યું પણ છે કે આવું ન કરવું જોઈએ. આ અમાનવીય કૃત્ય છે.
ADVERTISEMENT
ભલામાણસ મને કોઈ કહેશે ખરું કે પાણી ન આપવું એ અમાનવીય કૃત્ય જેમને લાગે છે તેમને કેમ એ નથી સમજાતું કે લોહી વહાવવું એ તો રાક્ષસી કૃત્ય છે અને આ કૃત્ય તે લોકો કરી રહ્યા છે જેને પાણી નહીં આપવાનો નિર્ણય સરકારે લીધો છે. પાકિસ્તાનની તરફેણ કરવાની એક વિચિત્ર જ ફૅશન આપણે ત્યાં શરૂ થઈ છે. પાકિસ્તાનનો પક્ષ લેવો એટલે કે જાણે અત્યારની સરકારનો વિરોધ હોય એવું વાતાવરણ બની રહ્યું છે. સાહેબ, એવું ન હોય. કોઈ તબક્કે તો તમે તમારા દેશને, તમારા દેશની સેનાને અને તમારા દેશની સેનાના જવાનોનો વિચાર કરો. બીજું કશું વિચારવું નથી. બીજા કોઈને પ્રાધાન્ય આપવું નથી, માત્ર ભારતમાતાને પ્રાધાન્ય આપવાનું છે અને આ પ્રાધાન્યમાં એટલું જ સમજવાનું છે કે તમારા દેશના સપૂતોને મારનારાઓની સાથે કોઈ જાતની દયાની લાગણી રાખવી નથી. ખોટું પણ નથી એમાં. જરા વિચારો તો ખરા, તમારી ભાવના કેવી હિન કક્ષાની કહેવાય. અરે, તમારા કરતાં તો આ બૈરાઓ સારા કે જે પોતાના છોકરાને મારનારાનો ઊધડો લઈ નાખે છે, જિંદગીભર સંબંધો કાપી નાખે છે પછી એ સાસુ-સસરા હોય તો પણ ઠીક છે અને નણંદ કે પાડોશી હોય તો પણ ઠીક છે. આ જ તો હોવું જોઈએ, આવી જ માનસિકતા હોવી જોઈએ. જો તમે એ માનસિકતા ન લાવી શકતા હો તો હું ઇચ્છીશ કે પાકિસ્તાનની તરફેણ કરનારા સૌકોઈ બૈરા પાસે જઈને પહેલાં શીખી આવે કે આપણા હોવાનો ભાવ શું છે અને આપણા હોવાની ભાવના શું કહેવાય?
પાકિસ્તાનનો સર્વનાશ નક્કી છે અને એ સર્વનાશ દરેક દિશાએથી કરવાનો છે. માત્ર સરહદ પર જ ધ્યાન નથી આપવાનું, પણ સરહદની પેલે પાર બેઠેલા દુશ્મનોને મદદ કરનારાઓને પણ હવે સીધા દોર કરવાના છે અને સરહદ પારના એ રાક્ષસોની તરફેણ કરનારાઓનો પક્ષ લઈને તેમની તરફેણ કરનારાઓ હોય તો તેમનો નંબર પણ લાગી જવો જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાન નિર્વસ્ત્ર થવું જોઈએ અને પાકિસ્તાનની તાકાતની બાબતમાં પણ એ માયકાંગલું પુરવાર થવું જોઈએ. પાકિસ્તાનને આપણે છોડવું નથી, પાકિસ્તાનને મૂકવાનું નથી. ભલે ચાહે કંઈ પણ થઈ જાય, પણ યાદ રાખવાનું છે. લોહી નીકળે તો વાંધો નહીં પણ પાણી તો ન જ જવું જોઈએ.