ગાંધી હમ શરમિંદા હૈ, તેરે કાતિલ ઝિંદા હૈ...
વિરોધ સાથે સ્વાગત : મહારાષ્ટ્ર વિધાનભવનમાં ગઈ કાલથી બજેટસત્રનો પ્રારંભ થયો અને બન્ને ગૃહોને સંયુક્ત રીતે સંબોધવા માટે રાજ્યપાલ સી. એચ. વિદ્યાસાગર રાવ વિધાનભવનમાં પહોંચ્યા ત્યારે વિરોધપક્ષના નેતાઓએ હાથમાં હોર્ડિંગ્સ અને પોસ્ટર્સ લઈ વિરોધ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. બીજી બાજું સત્ર શરૂ થવા પહેલાં ગર્વનર સી. એચ. વિદ્યાસાગર રાવને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય પ્રધાનો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર : સુરેશ કરકેરા
રાજ્યપાલના ભાષણમાં વિપક્ષોએ ‘ગાંધી હમ શરમિંદા હૈ, તેરે કાતિલ ઝિંદા હૈ...’ના નારા લગાવીને સત્રનો બહિષ્કાર કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાના બજેટસત્રમાં પહેલા જ દિવસે વિરોધ પક્ષે ગર્વનર સી. વિદ્યાસાગર રાવના RSS માટે અપાયેલા વિધાનનો બૉયકૉટ કર્યો હતો.
આ મહિનાના પ્રારંભમાં નાગપુરમાં ગર્વનર સી. વિદ્યાસાગર રાવે કહ્યું હતું કે ‘RSS બિનસાંપ્રદાયિક અને સર્વસમાવેશક સંગઠન છે. અહીં દરેક વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે.’
ADVERTISEMENT
બજેટસત્રના પહેલા દિવસે બન્ને હાઉસ સાથે બેસેલા પક્ષોને સેન્ટ્રલ હૉલમાં ગર્વનરે સંબોધ્યા હતા જેની પર નારાજગી વ્યક્ત કરીને વિરોધ પક્ષના નેતા હૉલમાંથી ઊભા થઈને ચાલવા માંડ્યા હતા.
ગર્વનરનું પદ બંધારણીય છે એમ જણાવીને વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ કહ્યું હતું કે ‘મેં બૉયકૉટ એટલા માટે કર્યો કારણ કે મને શંકા હતી કે ભાષણ ગર્વનરનું હતું કે RSSની વ્યક્તિનું? ગર્વનરે RSSને સપોર્ટ કરતું ભાષણ આપ્યું એથી વિરોધ પક્ષના નેતાઓએ બૉયકૉટ કરવાનું નક્કી કર્યું.’
બજેટસત્રમાં રજૂ થઈ ૪૨૮૪ કરોડની પૂરક માગણીઓ
મહારાષ્ટ્ર સરકારે ગઈ કાલે ૪૨૮૪.૬૫ કરોડ રૂપિયાની પૂરક માગણીઓ રજૂ કરી હતી. એમાં દૂધઉત્પાદકોને મદદ, સ્વાતંત્ર્યસેનાનીઓને પેન્શન વગેરે માટેના ભંડોળનો સમાવેશ થાય છે.
૪૨૮૪.૬૫ કરોડમાંથી ૩૧૪૬.૪૩ કરોડ રૂપિયા રાજ્યના આગામી વિધાનસભાના સત્ર સુધી સરકાર દ્વારા કરવામાં આવનારા ખર્ચ પેટે માગવામાં આવ્યા છે, જ્યારે બાકીની રકમનો ખર્ચ થઈ ગયો છે.
૧૧૩૮.૨૨ કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરી નાખવામાં આવ્યો છે અને એની જોગવાઈ કરવાની હતી એટલે પૂરક માગણીઓ રજૂ કરવામાં આવી છે એમ જણાવીને નાણાપ્રધાન સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે આકસ્મિક ભંડોળમાં ૨૦૦૦ કરોડ રાખવાનો આદેશ આપ્યો હોવાથી પૂરક માગણીની રકમ મોટી જણાય છે. વધુમાં થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે જે સ્વાતંત્ર્યસેનાનીઓએ પેન્શન લેવાનો ઇનકાર કર્યો હતો તેમને પણ હવે પેન્શન આપવું. એટલે એની પણ જોગવાઈ કરવામાં આવી છે.’
વિધાનસભાના બજેટસત્રમાં શહીદોને શ્રદ્ધાંજલિ
મહારાષ્ટ્ર વિધાનસભાનું બજેટસત્ર શરૂ થઈ ગયું છે. સત્રના પહેલા જ દિવસે પુલવામામાં શહીદ થયેલા ૪૦ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ટૂંક સમય પહેલાં મૃત્યુ પામેલા વિધાન પરિષદના ચૅરમૅન શિવાજીરાવ દેશમુખને પણ સત્ર દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ પણ વાંચો : પંકજા મુંડે મુખ્ય પ્રધાન બનશે તો મને આનંદ થશે : સુપ્રિયા સુળે
ક્રૉસ બૉર્ડર ટેરરિઝમ પર રાજ્ય સરકાર સખત શબ્દોમાં નિંદા કરે છે એમ જણાવીને વિધાનસભામાં ગર્વનર સી. વિદ્યાસાગર રાવે કહ્યું હતું કે ‘પુલવામાના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અમારી સરકાર આતંકવાદ સામે લડવા કેન્દ્ર સરકારની સહાયમાં હંમેશાં પ્રતિબદ્ધ છે.’