વકીલો માત્ર કામકાજ માટે જ લોકલ ટ્રેનનો ઉપયોગ કરે એવું ઇચ્છે છે સરકાર
બૉમ્બે હાઈ કોર્ટ
મહારાષ્ટ્ર સરકારે સોમવારે બૉમ્બે હાઈ કોર્ટને જણાવ્યું હતું કે એ તમામ વકીલોને મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવા દેવાની તરફેણમાં છે, પરંતુ વકીલોએ આ સેવાનો ઉપયોગ માત્ર વ્યાવસાયિક હેતુ માટે જ કરવાનો રહેશે અને તેમણે આ પરવાનગીનો દુરુપયોગ કરવો ન જોઈએ.
ઍડ્વોકેટ જનરલ આશુતોષ કુંભકોણીએ ચીફ જસ્ટિસ દીપંકર દત્તા અને જસ્ટિસ જી. એસ. કુલકર્ણીની બેન્ચને એમ પણ જણાવ્યું હતું કે રાજ્યએ અત્યારે લૉકડાઉન દરમ્યાન દોડી રહેલી લોકલ ટ્રેનોની સંખ્યા વધારવાનું અને નૉન-પીક-અવર્સ દરમ્યાન તમામ મહિલા પૅસેન્જરોને લોકલ ટ્રેનનો ઉપયોગ કરવાની પરવાનગી આપવાનું નક્કી કર્યું છે.
ADVERTISEMENT
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અત્યારે માત્ર જરૂરી સેવા પૂરી પાડતા સ્ટાફ અને સરકારી કર્મચારીઓ માટે જ ટ્રેનો કાર્યરત છે.
રાજ્ય સરકારની આ રજૂઆત હાઈ કોર્ટના અગાઉના આદેશનું અનુસરણ હતી.
ગયા મહિને હાઈ કોર્ટે રાજ્ય સરકારને બૉમ્બે હાઈ કોર્ટમાં જેમની પ્રત્યક્ષ સુનાવણીઓ હોય એવા વકીલોને લોકલ ટ્રેનો દ્વારા કોર્ટની મુસાફરી કરવા દેવા જણાવ્યું હતું.