૧૮ નવેમ્બરે બોબડે નવા ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે
રંજન ગોગોઈ
પોતાના કાર્યકાળના અંતિમ દિવસે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ હવે ફક્ત થોડા જ સમય માટે પોતાના કાર્યાલયમાં બેઠા છે. પરંપરા અનુસાર સીજેઆઈ ગોગોઈ પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ એસ. એ. બોબડેની સાથે કોર્ટ રૂમમાં બેઠા, આ દરમ્યાન તેમણે ફક્ત ત્રણ મિનિટમાં જ દસ કેસમાં નોટિસ જાહેર કરી. ૧૭ નવેમ્બર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના કાર્યકાળનો અંતિમ દિવસ છે પરંતુ હવે બે દિવસ વીકએન્ડ હોવાના કારણે આજે જ તેમનો અંતિમ દિવસ હતો.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ જ્યારે ૧૦.૩૦ વાગ્યે કોર્ટરૂમ પહોંચ્યા ત્યારે રૂમ ખીચોખચ ભરેલો હતો. ગોગોઈને આ દરમ્યાન કેટલાક પત્રકારોએ ઈન્ટરવ્યુ આપવા માટેની અપીલ કરી હતી પરંતુ તેમણે પત્રકારો સાથે વાત કરવાની ના પાડી દીધી હતી. બાર અસોસિએશન તરફથી યોજાયેલા ફેરવેલ ફંક્શનમાં ચીફ જસ્ટિસ સંબોધન નહીં કરે.
૧૮ નવેમ્બરના રોજ જસ્ટિસ બોબડે નવા ચીફ જસ્ટિસ તરીકે શપથ ગ્રહણ કરશે. આ અગાઉ શુક્રવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ બોબડેની બેઠકે કાર્યસૂચીમાં નોંધવામાં આવેલા ૧૦ કેસમાં નોટિસ જાહેર કરી છે. આ પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટ બાર અસોસિએશનના અધ્યક્ષ રાકેશ ખન્નાએ બધા વતી જસ્ટિસ ગોગોઈનો આભાર વ્યક્ત કર્યો અને તેમના આગામી જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.