ભારત અને ચીન ત્રણ દિવસ સુધી દરરોજ 30 ટકા સૈનિકોને પરત બોલાવશે
સૈનિકની ગાડી
ભારત અને ચીનના પૂર્વી લદ્દાખની સરહદે મે મહિનાથી ચાલી રહેલા ગતિરોધ વચ્ચે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વી લદ્દાખમાં બન્ને દેશો વચ્ચે તણાવ ટૂંક સમયમાં જ ઘટી શકે છે. બન્ને દેશોના સૈન્યએ યથાસ્થિતિ જાળવી રાખવા ત્રણ તબક્કામાં પીછેહટ કરવાની યોજના પર સહમતિ વ્યક્ત કરી હતી. ત્યાર બાદ બન્ને દેશોની સેનાઓ એપ્રિલ-મે મહિનાની પોતાની જૂની સ્થિતિમાં પોતપોતાની સ્થિતિ પર પાછી ફરશે.
એક રિપોર્ટ મુજબ, ભારત અને ચીનની વચ્ચે લદાખના વિવાદાસ્પદ સ્થળોથી સેનાઓ હટાવવા સહમતિ સધાઈ ગઈ છે. એ મુજબ બન્ને દેશોના સૈનિક એપ્રિલ-મે મહિનાવાળી જૂની યથાસ્થિતિ પર પરત ફરશે. એની પર ૬ નવેમ્બરે ચુશૂલમાં કોર-કમાન્ડર લેવલની આઠમા ચરણની મંત્રણામાં ચર્ચા થઈ હતી.
ADVERTISEMENT
લદાખના ચુશૂલમાં ૬ નવેમ્બરે ભારત-ચીનની સેનાઓની વચ્ચે આઠમા રાઉન્ડની મંત્રણા થઈ હતી. એમાં ત્રણ ચરણના પ્લાન પર બન્ને દેશોએ સહમતિ વ્યક્ત કરી છે. રિપોર્ટ મુજબ બન્ને દેશ સેનાઓ હટાવવા એટલા માટે પણ તૈયાર થયા કારણ કે હાલ પૂર્વ લદાખમાં પહાડોની ચોટ પર ભારે બરફવર્ષા થઈ રહી છે. લગભગ ૧૫-૧૬ હજારની ઊંચાઈ પર તાપમાન માઇનસ ૪૫ ડિગ્રી સુધી જતું રહે છે. એનાથી બન્ને દેશોના સૈનિકોની પરેશાની વધી શકે છે.