મોડાસા: DYSP કચેરી પાસેનો સરકારી ખાડો મુખ્યમંત્રીના આગમન પૂર્વે પૂરાયો
મોડાસાનો સરકારી ખાડો
મોડાસા શહેરમાં 15 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત કરવા આવવાના હોવાથી અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને મોડાસા નગરપાલિકા તંત્રમાં તેમને આવકારવા માટે અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. આ માટે મોડાસા શહેરના હાર્દસમા ચારરસ્તાથી તાલુકા પંચાયત કચેરી સુધી રોડ પર પડેલા ખાડાઓ પૂરવાની અને રંગ રોગાનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ADVERTISEMENT
ખાડો પૂરાતા પ્રજામાં આનંદ પણ અને રોષ પણ
મોડાસા શહેરના મોડાસા-શામળાજી રોડ પર આવેલી ડી.વાય.એસ.પી કચેરી નજીક રોડ પર છેલ્લા બે-ત્રણ વર્ષ થી પડેલા ખાડાને લીધે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા, તેમછતાં જવાબદાર તંત્ર કે નગરપાલિકા તંત્ર દ્વારા ખાડો પૂરવા માટે નક્કર કાર્યવાહી ન કરતા પ્રજાજનો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ખાડાને શહેરીજનોએ “સરકારી ખાડા”ની ઉપમા આપી હતી. મુખ્યમંત્રીના આગમનના ૪૮ કલાક પહેલા જવાબદાર તંત્ર દ્વારા ખાડો પૂરી રોડનું સમારકામ હાથ ધરાતા નગરજનોમાં શહેરની મુલાકાતે મોટા નેતાઓ દર સપ્તાહે આવવા જોઈ તેવી ચર્ચા ઉઠી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સીએમ પહોંચ્યા સુરત, કહ્યું- ભાજપને નહીં ભારતને જીતાડો
મોડાસા શહેરના હાર્દસમા ચાર રસ્તા પર ચોમાસામાં ધોધમાર વરસાદના પગલે રોડનું ધોવાણ થતા બિસ્માર બનેલ માર્ગ પર રફો નાખી દઈ દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવતી હતી. શહેરના જાગૃત નાગરિકો અને વાહનચાલકોમાં રોડની મરામત કરવાની માંગ સામે આંખ આડે કાન કરાતા હતા. ચોમાસું પૂર્ણ થયાને ૪ મહિના થયા છતાં ખખડધજ રોડ જે તે સ્થિતિમાં હતો. ૧૫ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીના આગમનના પગલે મોડાસા ચાર રસ્તા થી તાલુકા પંચાયત કચેરી સુધીના માર્ગ પર પડેલા ખાડા પૂરવા સમારકામ હાથધરવામાં આવતા લોકોમાં આનંદ સાથે રોષ પણ પ્રવર્તી રહ્યો છે.
નગરજનો ભલે છેલ્લા કેટલા સમયથી ખરાબ રોડનો ભોગ બનતા હોય પણ ભૂલથી પણ મુખ્યમંત્રીને રોડ પર પડેલા ખાડાનો અહેસાસ ન થવો જોઈએ તેની વિશેષ તકેદારી જવાબદાર તંત્ર રાખી રહ્યું છે.