ગુજરાતમાં આ બે રાજકીય વહીવટી ચહેરાઓ સત્તા પરથી જ ક્વૉરેટાઇન કરાયા?
બંને વિજયની કામગરીથી હતો અસંતોષ.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે બદતર થઇ રહી છે અને તેમાં પણ અમદાવાદની સરખામણીતો વુહાન સાથે થવા માંડી હતી. ગુજરાતમાં એક્ટિવ કેસિઝનો આંકડો 4729 પર પહોંચ્યો છે, સાજા થયેલાનો આંકડો 1500 છે અને મૃત્યુ આંક 396 છે. આ સંજોગોમાં સમાચાર આવ્યા કે અમદાવાદનાં મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા કોરોનાથી સંક્રમિત વ્યક્તિઓનાં સંપર્કમાં આવ્યા હોવાથી તે હોમ ક્વોરેન્ટાઇન થાય છે, આ સમાચારની શાહી સુકાઇ નહોતી ત્યાં ગાંધીનગરની ગાદી પર બેઠેલા બીજા વિજય એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સિનમાંથી ખસેડી દેવાયા છે.
એક ચર્ચા એવી છે કે આંકડાઓની વાત કરવામાં વ્યસ્ત અધિકારીઓ સોશ્યલ મીડિયા પર વધુ અને નક્કર કામમાં ઓછા દેખાતા હતા. પ્રેસ બ્રિફિંગ અને સોશ્યલ મીડિયા પર કામ વધારે થઇ રહ્યું હતું અને પરિણામ વધારે ગંભીર બની રહ્યા હતા. આ સંજોગોમાં PMOથી દૂરસંચાર દ્વારા જ દોરી સંચાર કરાયો, એટલે કે એક ફોન કૉલથી બંન્ને વિજય અંગે અમુક નિર્ણય લેવામાં આવ્યા. આ સાથે સાથે જયંતી રવિ જે રોજે રોજનું પ્રેસ બ્રિફિંગ કરતા હતા તે પણ બંધ કરી દેવાયું. હવે સીએમઓનાં મહેસૂલ સચિવ કે કૈલાસનાથન ગાંધીનગરથી કામે લાગ્યા છે તો અમદાવાદમાં મુકેશકુમારે પહેલા જ દિવસે કડક બંધની જાહેરાત કરીને કોરોના સામે લડતની સ્ટ્રેટેજી જ બદલી નાખી છે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં બિરાજે છે પણ ગુજરાત તેમનું હોમ ગ્રાઉન્ડ છે અને ત્યાં સંજોગો વકરે તે તેમને માટે પણ ચિંતાજનક થઇ રહ્યું હતું. આ કારણે રાતોરાત બધું બદલી નખાયું અને કે કૈલાસનાથને ચાર્જ હાથમાં લેતાં જ સૌથી પહેલાં વિજય નહેરા ક્વૉરેન્ટિન કરાયા અને મુખ્ય ગાંધીનગરમાં તખ્તો સંભાળવા મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજીવ ગુપ્તાની ટૂકડીએ કોરોના સામેની લડતનાં ચોકઠાં નવેસરથી ગોઠવવાની શરૂઆત કરી દીધી.
આ તરફ એવી પણ ચર્ચા થઇ કે મનસુખ માંડવિયા સાથે મોદીએ બેઠક કરી છે એટલે હવે તેઓ ગુજરાતની ધૂરા સંભાળશે પણ આ વાતને માંડવિયાએ સોશ્યલ મીડિયાપર રદિયો આપી દીધો.