વધુ ટેસ્ટ કરાવીશું તો કુલ વસ્તીના 70 ટકા લોકો પૉઝિટિવ આવી શકે છે
પ્રતીકાત્મક તસવીર
કોરોના મુદ્દે ગુજરાત હાઈ કોર્ટે કરેલી સુઓમોટો જાહેર હિતની અરજીમાં હાઈ કોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક લોકોને કોરોનાની ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. હાઈ કોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે વધુ ને વધુ ટેસ્ટ કરવામાં આવશે તો કુલ વસ્તીના ૭૦ ટકા જેટલા લોકો કોરોના પૉઝિટિવ નીકળશે જેના લીધે લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાઈ જશે. આ અંગે હાઈ કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આ પ્રકારની આશંકાના પગલે કોરોનાનું ટેસ્ટિંગ રોકવાનું પગલું હિતાવહ નથી.
હાઈ કોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક વ્યક્તિને કોરોનાની ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. ડિસ્ચાર્જ સમયે દરદીનું ટેસ્ટિંગ કરો. કોરોના પૉઝિટિવ દરદી કે જેને હૉસ્પિટલમાંથી રજા મળી છે અથવા તો તેનું મૃત્યુ થયું છે, આ દરદીઓના પરિવારજનોની ટેસ્ટ પણ કરાવો. આ ઉપરાંત ડૉક્ટરે જે દરદીને પ્રિસ્ક્રિપ્શન લખી આપી છે, તેની ટેસ્ટ પણ કરાવો. હાઈ કોર્ટે એ પણ કહ્યું છે કે જે ખાનગી લૅબોરેટરીમાં આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે અને જરૂરી તમામ શરતો એ પૂર્ણ કરે છે તો એને ટેસ્ટ કરવા માટેની મંજૂરી આપો. ખાનગી લૅબોરેટરીમાં ટેસ્ટ માટેનો ભાવ ૪૫૦૦ રૂપિયા છે.
ADVERTISEMENT
કોરોનાના દરદીઓના ટેસ્ટિંગ માટે સમગ્ર રાજ્યમાં કુલ ૧૯ સરકારી અને ૧૨ ખાનગી લૅબોરેટરીઓ છે, શું એ પૂરતી છે? માર્ગદર્શિકા મુજબ જે લૅબોરેટરીમાં સુવિધાઓ છે તેમને મંજૂરી કેમ અપાઈ નથી? નોંધનીય છે કે નાના ટેસ્ટિંગ માટે જે લૅબોરેટરીને મંજૂરી આપી છે, એને રાજ્ય સરકારનો આદેશ છે કે ટેસ્ટ સરકારી હૉસ્પિટલમાં જ કરાવવી. સરકારની આ પ્રકારની કામગીરી કોરોનાના કેસના આંકડાને અંકુશ કરવા જેવી છે.