કૉન્ગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને શ્રીનગર ઍરપોર્ટ પરથી પાછા મોકલાયા
કૉન્ગ્રેસના નેતા ગુલામ નબી આઝાદને શ્રીનગર ઍરપોર્ટ પરથી પાછા મોકલાયા
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવાયા બાદ ઊભા થયેલા તણાવને ધ્યાનમાં રાખીને કોઈને પણ શ્રીનગરમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં નથી આવી રહી. સમાચાર છે કે કૉન્ગ્રેસના નેતા અને સંસદસભ્ય તેમ જ રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને જમ્મુ-કાશ્મીર કૉન્ગ્રેસના પ્રમુખ ગુલામ અહમદ મીરને શ્રીનગર ઍરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યા હતા. બન્નેને પાછા મોકલી દેવામાં આવ્યા છે. કલમ-૩૭૦ હટાવ્યા બાદ શ્રીનગરમાં કલમ-૧૪૪ લાગુ કરવામાં આવી છે. એટલે સુધી કે ખીણમાં શાંતિ જળવાઈ રહે એ માટે સ્થાનિક નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મેહબૂબા મુફતી અને ઉમર અબદુલ્લાને રવિવાર રાતથી જ નજરકેદ કરી લેવામાં આવ્યાં છે. રાજ્યના કાયદો અને વ્યવસ્થાને ખતરો હોવાનો હવાલો આપીને સોમવારે રાત્રે બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને નેતાઓને શ્રીનગરના હરિનિવાસ ગેસ્ટહાઉસમાં રાખવામાં આવ્યાં છે.