વર્ષા બંગલો ખાલી કર્યા બાદ મુંબઈમાં ઘર શોધે છે ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસ
મંગળવારે બપોરે મુખ્ય પ્રધાનના પદ પરથી રાજીનામું આપ્યા બાદ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે દક્ષિણ મુંબઈસ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા બંગલોને ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે અને હવે તેઓ મુંબઈમાં જ પોતાનું નવું નિવાસસ્થાન શોધી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યા મુજબ નાગપુરસાઉથ વેસ્ટની સીટ પરથી ચૂંટાઈ આવેલા દેવેન્દ્ર ફડણવીસ ઑક્ટોબર ૨૦૧૪માં મુખ્ય પ્રધાન બન્યા બાદ મુંબઈ આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસ ઍક્સિસ બૅન્કમાં ઊંચા પદ પર છે તથા તેમની પુત્રી પણ મુંબઈમાં ભણે છે. આથી હવે તેઓ મુંબઈમાં જ સ્થાયી થવા વિચારી રહ્યાં છે. મુખ્ય પ્રધાનપદ પરથી રાજીનામું આપ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ હવે નવી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બને એવી સંભાવના છે.