EVM હૅકિંગને મુદ્દે રાજકારણમાં ખળભળાટ
ગોપીનાથ મુંડે
અમેરિકામાં રાજકીય આશ્રય માગનારા લંડનના કથિત સાઇબર એક્સપર્ટ સૈયદ સુજાએ હૅકર્સની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ ‘હૅકેથૉન’માં સોમવારે એવો દાવો કર્યો હતો કે 2૦14માં ભારતની લોકસભાની ચૂંટણી વખતે EVM હૅક કરવામાં આવ્યાં હતાં. આ વાતની જાણ BJPના જે મિનિસ્ટરને હતી તેમની હત્યા પણ કરવામાં આવી હતી. સૈયદનો ઇશારો BJPના ભૂતપૂર્વ નેતા ગોપીનાથ મુંડેના મોતના રહસ્ય પર હતો. આ વાત સામે આવતા ગોપીનાથ મુંડેના ભત્રીજા અને NCPના નેતા ધનંજય મુંડેએ કાકા ગોપીનાથ મુંડેની મોત હત્યા છે કે અકસ્માત એ બાબતે નિષ્પક્ષ તપાસ રૉ અથવા સુપ્રીમ કોર્ટ કરે એવી માગણી કરી છે. જ્યારે આ આખો આરોપ કૉંગ્રેસ દ્વારા ઊપજાવી કાઢવામાં આવ્યો હોવાનો દાવો કરતાં BJPએ એવો પ્રશ્ન કર્યો હતો કે કૉંગ્રેસી નેતા કપિલ સિબલ આ કૉન્ફરન્સમાં શું કરી રહ્યા હતા.
ભૂતપૂર્વ યુનિયન મિનિસ્ટર સ્વર્ગસ્થ ગોપીનાથ મુંડેની હત્યા કરવામાં આવી હતી એવો ચોંકાવનારો દાવો સાઇબર એક્સપર્ટે કર્યો છે. આ દાવા પર તાત્કાલિક ધોરણે ઍક્શન લઈ સુપ્રીમ કોર્ટ અથવા રૉને તપાસ સોંપવી જરૂરી છે. આ દાવો લોકશાહીની હત્યા કરવા જેવો છે #EVMHacking આ પ્રકારે ધનંજય મુંડેએ ટ્વીટ કરી તપાસની માગણી કરી છે.
ADVERTISEMENT
અમેરિકામાં યોજાયેલી હૅકર્સ કૉન્ફસન્સમાં હૅકર સૈયદ સુજાનો દાવો ચોંકાવનારો છે.
2૦1૪ની લોકસભાની ચૂંટણી બાદ હું ભારત છોડીને ભાગી ગયો હતો એમ જણાવતાં સૈયદ સુજાએ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે BJPના એક નેતાની હત્યા થયા બાદ મને ધમકી મળતી હોય એમ લાગી રહ્યું હતું, કારણ કે BJPના એ નેતાને #EVM હૅક થયા વિશે જાણકારી હતી.
જોકે કૉન્ફરન્સ દરમ્યાન સૈયદ સુજાએ EVM હેકિંગના દાવા પર કોઈ પુરાવા આપ્યા નહોતા.
બીજી બાજુ ગઈ કાલે BJPના કેન્દ્રીય પ્રસારણપ્રધાન રવિશંકર પ્રસાદે કૉંગ્રેસનો EVM હૅકિંગનો દાવો પાયાવિહોણો ગણાવતાં કહ્યું હતું કે ‘અમેરિકામાં થયેલી કૉન્ફરન્સ કૉંગ્રેસ સમર્પિત લોકોએ યોજી હતી. કૉંગ્રેસ 2૦1૯ની લોકસભા ચૂંટણી હારશે એથી તેઓ હારનું કારણ શોધી રહ્યા છે. આ મામલો કૅમ્બ્રિજ ઍનૅલિટિકા પાર્ટ-2 છે.’
રાહુલ ગાંધી હોમવર્ક નથી કરતા અને તેમની પાર્ટી પણ હોમવર્ક કર્યા વગર આવે છે એમ જણાવતાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ‘રાહુલ ચૂંટણી હારવા કેવા પેંતરા કરી રહ્યા છે. અમેરિકામાં હૅકર્સની કૉન્ફરન્સમાં કૉંગ્રેસના નેતા કપિલ સિબલ શું કરી રહ્યા હતા. તેઓ પૂરા મામલામાં કૉંગ્રેસ વતી મૉનિટરિંગ કરવા ગયા હતા. હૅકેથૉનમાં કહ્યું કે સૈયદ સુજા મોટા હૅકર છે. આ અચાનક કેવી રીતે પ્રગટ થયા.’
ગોપીનાથ મુંડેની હત્યાના દાવાના મામલે પ્રસાદે કહ્યું હતું કે ‘એઇમ્સના ડૉક્ટરે મુંડેનું પોસ્ટમૉર્ટમ કયુંર્ હતું અને રિપોર્ટ અનુસાર તેમની ગરદનના ભાગે ગંભીર ઈજા થતાં મોત થયું હતું. સુજાએ કૉન્ફરન્સમાં માત્ર બકવાસ કર્યો છે, કોઈ પુરાવા નથી આપ્યા.’
જે જગ્યાઓ પર કૉંગ્રેસ જીતી ત્યાં EVM હૅક નહોતાં થયાં એમ જણાવતાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ‘2૦૦૭માં ઉત્તર પ્રદેશમાં માયાવતી જીતી, 2૦12માં અખિલેશ યાદવ ત્યારે EVM હૅક નહોતાં થયાં. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કૉંગ્રેસ જીતી ત્યારે EVM બરાબર હતાં. જ્યારે BJP જીતે છે ત્યારે જ EVM હૅક કઈ રીતે થઈ શકે છે.’
આ પણ વાંચો : લંડનમાં EVM હેકાથોનમાં હાજરીને લઈને સિબ્બલની સ્પષ્ટતા
જોકે ગોપીનાથ મુંડેના મૃત્યુ વિશે ફૂટેલા આ નવા ફણગા બાબતે તેમની દીકરી અને મહારાષ્ટ્ર સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ ખાતાની પ્રધાન પંકજા મુંડેએ કોઈ પણ ટિપ્પણી આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અમે આ નવા ફણગાથી અત્યંત આઘાતમાં છીએ અને આ મુદ્દે કશું કહેવા નથી માગતાં.