Coronavirus Updates: 24 કલાકમાં 24,248 નવા કેસ, 425 દર્દીઓના મોત
નવી દિલ્હીના COVID-19 સેન્ટરમાં બાળકનો ટેસ્ટ કરી રહેલા આરોગ્ય કર્મચારી (તસવીર સૌજન્ય: પીટીઆઈ)
ભારત દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ફરી એકવાર 24,000ને પાર કરી ગયો છે. સોમવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં 24,248 નવા કેસ નોંધાયા હતા અને 425 દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ 6,97,413 કેસ નોંધાયા છે. જેમાંથી 2,53,287 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 4,24,433 કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને 19,693 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા ચોવીસ કલાકમાં 6,555 નવા કેસ નોંધાયા છે અને 151 લોકોના મોત થયા છે. જ્યારે 3,658 લોકો છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,06,619 થઈ ગયો છે. તેમાંથી 86,057 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 8,822 લોકો મૃત્યુ પામ્યા છે અને 1,11,740 લોકો સારવાર બાદ સાજા થયા છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આંકડાઓમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 725 નવા કેસ નોંધાયા હતા અને 18 લોકોના મોત થયા હતા. જ્યારે 486 દર્દીઓ છેલ્લા ચોવીસ કલાકમાં સારવાર બાદ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 36,123 થઈ ગયો છે. જેમાંથી 8,202 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ 1,945 લોકોના મોત થયા છે અને 25,902 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
ઈન્ડિયલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના આંકડાઓ મુજબ, 5 જુલાઈ સુધીમાં કોરોનાના 99,69,662 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં 1,80,596 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.