કોરોના સંકટમાં દરદીઓ માટે રાહતના સમાચાર : ડિસ્ચાર્જ પૉલિસીમાં ફેરફાર
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાઇરસ સંક્રમિત દરદીઓના રિકવર થયા બાદ ડિસ્ચાર્જ પૉલિસીમાં ફેરફાર થયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે સવારે નવી પૉલિસી જાહેર કરી છે. નવા ફેરફારો મુજબ, હળવા કેસમાં ડિસ્ચાર્જ પહેલાં ટેસ્ટિંગની જરૂરિયાતને સમાપ્ત કરી દેવામાં આવી છે. દરદીમાં લક્ષણ ન દેખાવાં અને સ્થિતિ સામાન્ય લાગવા પર ૧૦ દિવસની અંદર હૉસ્પિટલમાંથી રજા આપી શકાય છે. ડિસ્ચાર્જ થયા બાદ દરદીએ હવે ૧૪ દિવસની જગ્યાએ ૭ દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે. ૧૪મા દિવલે ટેલિ-કૉન્ફરન્સ દ્વારા દરદીનું ફૉલોઅપ લેવામાં આવશે.
એવા દરદી જેમાં કોરોનાનાં લક્ષણ નથી/ ખૂબ નજીવાં છે, તેમને કોવિડ કૅર ફેસિલિટીમાં રખાશે. જ્યાં તેમને રેગ્યુલર ટેમ્પ્રેચર ચેક અને પલ્સ ઓક્સિમેટ્રી મોનટરિંગમાંથી પસાર થવું પડશે. જો ત્રણ દિવસ સુધી દરદીને તાવ આવતો નથી તો દરદીને ૧૦ દિવસ બાદ ડિસ્ચાર્જ કરી શકાય છે. તેની પહેલાં ટેસ્ટિંગની જરૂર પડશે નહીં. ડિસ્ચાર્જના સમયે દરદીને ૭ દિવસ સુધી હોમ આઇસોલેશનમાં રહેવાનું કહેવાશે. ડિસ્ચાર્જ પહેલાં જો ક્યારેય ઑક્સિજન સેચુરેશન ૯૫ ટકાથી નીચે જાય છે તો દાદીને ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં લઈ જવાશે.