મુંબઈ : મહારાષ્ટ્રમાં રોડ-ઍક્સિડન્ટમાં ધરખમ ઘટાડો નોંધાયો
પ્રતીકાત્મક તસવીર
ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમ તેમ જ ઓવરસ્પીડિંગ પર નિયંત્રણના પગલાં લેવાતાં છેલ્લાં ત્રણ વર્ષમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં ઘટી ગયું હોવાનો દાવો હાઇવે પોલીસે કર્યો છે. ગયા વર્ષે રાજ્યમાં માર્ગ અકસ્માતનું પ્રમાણ ૮.૪૭ ટકા ઘટ્યું હતું. માર્ગ અકસ્માતમાં મૃત્યુની સંખ્યા ૨૦૧૮માં ૧૩,૬૪૮ હતી એ સંખ્યા ૨૦૧૯માં ૧૨,૭૮૮ નોંધાતાં એ અકસ્માતોમાં મૃત્યુના પ્રમાણમાં ૩.૫૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ૨૦૧૬માં ૧૧,૭૮૦ જીવલેણ અકસ્માતોમાં ૧૨,૯૩૫ લોકો મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૭માં ૧૧,૪૫૪ જીવલેણ અકસ્માતોમાં ૧૨,૫૧૧ લોકો મૃત્યુ પામ્યા હતા.
મહારાષ્ટ્રની હાઇવે પોલીસે આપેલા આંકડા મુજબ રાજ્યમાં માર્ગ અકસ્માતો ૨૦૧૬માં ૩૯,૮૭૮, ૨૦૧૭માં ૩૬,૦૫૬, ૨૦૧૮માં ૩૫,૭૧૭ અને ૨૦૧૯માં ૩૨,૯૨૫ નોંધાયા હતા. છેલ્લાં ત્રણ વર્ષમાં કોઈને ઈજા ન થઈ હોય એવા અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે. કોઈને ઈજા ન થઈ હોય એ પ્રકારના અકસ્માતોની સંખ્યા ૨૦૧૬માં ૬૨૭૧ હતી, એ સંખ્યા ૨૦૧૯માં ઘટીને ૩૫૬૮ ઉપર પહોંચતાં ૪૩.૧૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જીવલેણ અકસ્માતોની સંખ્યા ૨૦૧૮માં ૧૨,૦૯૮ અને ૨૦૧૯માં ૧૧,૭૮૭ નોંધાઈ હતી. એ રીતે ૨.૫૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.