ફરજિયાત ક્વૉરન્ટીન માટે રેસિડન્ટ ડૉક્ટર્સના દિવસના 300 રૂપિયા કપાય છે
ગઈ કાલે ધારાવીના રહેવાસીઓનું સ્ક્રીનિંગ કરી રહેલા ડૉક્ટરો અને હેલ્થ વર્કર્સ. તસવીર: સુરેશ કરકેરા
પાલિકા સંચાલિત હૉસ્પિટલોના નિવાસી ડૉકટરોએ કોવિડ-19 પરિસ્થિતિને કારણે અનેક જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે, જોકે હવે તેમણે ફરજિયાત ક્વૉરન્ટીનના પિરિયડ માટે રોજના લગભગ ૩૦૦ રૂપિયા જેટલા પગારકાપનો પણ સામનો કરવો પડશે. આમાંના અનેકે નિવાસી તબીબો સાથે લગ્ન કર્યા છે અથવા પરિવારના બે સભ્યો એક જ વ્યવસાયમાં આવવાથી તેમના કુટુંબની આવકમાં થતો મોટો ઘટાડો તેમના તણાવમાં વધારો કરી રહ્યો છે.
નાયર હૉસ્પિટલના બીજા વર્ષની રેસિડન્ટ ડૉક્ટર અને તે જ હૉસ્પિટલમાં કામ કરતાં તેમના પતિ છેલ્લા ત્રણ મહિનામાં ભાગ્યે જ મળી શક્યાં છે. તેમણે કહ્યું હતું કે અમે પતિ-પત્ની અઠવાડિયા સુધી એકબીજાને મળી શકતાં નથી તેમ જ અમારા પરિવારના સભ્યોને જોખમમાં ન નાખવા માટે સ્ટાફ ક્વાર્ટર્સમાં ક્વૉરન્ટીન પિરિયડ વિતાવીએ છીએ. જોકે આવા કપરા સમયમાં અમને અમારા વેતનકાપ વિશે જાણ થતાં અમે મૂંઝવણમાં પડી ગયા છીએ.
ADVERTISEMENT
આ ડૉક્ટરે કહ્યું હતું કે અમે ડૉક્ટરો છેલ્લા ત્રણ મહિનાથી દબાણ હેઠળ કામ કરી રહ્યા છીએ. ક્વૉરન્ટીન પિરિયડ પણ અમે ફક્ત આઇસીએમઆરના નિયમોનું પાલન કરીને જ કરી રહ્યા છીએ ત્યારે અમારે પગારકાપનો સામનો શા માટે કરવો જોઈએ?
પાલિકા દ્વારા મહિનામાં બે અઠવાડિયાંના ક્વૉરન્ટીન માટે ઇન્સેન્ટિવની રકમ (દિવસ દીઠ ૩૦૦ રૂપિયા) ચૂકવવાના ઇનકારથી હતાશ થયેલા કેઇએમ, સાયન અને નાયર હૉસ્પિટલોના ૨૩૦૦ જેટલા ડૉકટરોએ ગયા અઠવાડિયે ડીએમઆરનો સંપર્ક કર્યો હતો.
જોકે અમને આ માટે ઉપરથી આદેશ હોવાનું કારણ આપવામાં આવ્યું હતું જે યોગ્ય નથી એમ ડૉક્ટરોએ જણાવ્યું હતું.