કોરોના વાઇરસઃ ભારતે ઈરાનની ફ્લાઇટ્સ રદ કરી
ફ્લાઈટ્સ
ભારતના નાગરિક ઉડ્ડયન નિયામકે દેશમાં કોરોના વાઇરસના પ્રકોપના કારણે ઈરાન સાથેની દરેક ઉડાન રદ કરી દીધી છે. સિવિલ એવિયેશનના ડિરેક્ટર જનરલે ગુરુવારે આ વિશે માહિતી આપી છે. બન્ને દેશો વચ્ચે અત્યાર સુધી મહાન ઍર અને ઈરાન ઍર ઉડાનનું સંચાલન કરતી હતી. એ ઉપરાંત કોરોના વાઇરસના ફેલાતા ઇન્ફેક્શનના કારણે જપાન અને દક્ષિણ કોરિયાના નાગરિકો માટે વિઝા ઑન અરાઇવલ સુવિધાને ટેમ્પરરી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
બીજી બાજુ ચીન પછી દક્ષિણ કોરિયામાં સૌથી વધારે કોરોના વાઇરસના ઇફેક્ટેડ કેસ નોંધવામાં આવ્યા છે. અહીં ૨૨૦૦ કેસ નોંધાયા છે અને ૧૩ લોકોનાં મોત થયાં છે.
ADVERTISEMENT
જપાનમાં પણ કોરોના વાઇરસના કેટલાય મામલા સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અહીં અંદાજે ૧૯૦ લોકો કોરોના વાઇરસથી પ્રભાવિત છે. બીજી બાજુ ચીનમાં કોરોના વાઇરસથી મરનારની સંખ્યા વધીને ગુરુવાર સુધીમાં ૨૭૮૮ થઈ ગઈ છે. ગુરુવારે બીજા ૪૪ લોકોનાં મોત થયાં છે. ત્યાં ચીનમાં અત્યારે કોરોના વાઇરસના કુલ ૭૮,૮૨૪ કન્ફર્મ કેસ સામે આવ્યા છે.