મુંબઈ: કર્ફ્યુ હોવા છતાં રવિવારે મુંબઈની લોકલ દોડશે
રેલવે સ્ટેશન
કોરોનાના કારણે દેશભરમાં રવિવારે જનતા કર્ફ્યુનું આહ્વાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે, પણ મુંબઈની લોકલ ટ્રેન કે જે ઇમર્જન્સી સર્વિસમાં સ્થાન પામે છે એ રવિવારે કર્ફ્યુ હોવા છતાં પણ દોડશે એમ રેલવે દ્વારા જણાવાયું છે. જે લોકોને ખરેખર જરૂરિયાત હોય અને કટોકટીમાં હોય તેમને અગવડ ન પડે એ માટે મુંબઈની લોકલ ટ્રેન સર્વિસ ચાલુ રાખવામાં આવી છે.
વેસ્ટર્ન રેલવેના બે મોટરમેન જે વિદેશ ગયા હતા તેમની પણ કોરોના ટેસ્ટ કરાઈ હતી જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એમ છતાં તેમને હાઉસ ક્વૉરન્ટીન કરાયા હતા. તેમાંના એકે તો બે દિવસ ટ્રેન પણ દોડાવી હતી, જ્યારે બીજા મોટરમૅનને છેક છેલ્લી ઘડીએ ટ્રેન ચલાવતા રોકી ક્વૉરન્ટીન કરી દેવાયા હતા.
ADVERTISEMENT
જ્યારે કે સૂત્રોના જણાવ્યા મુજબ તેમના એક મોટરમૅન સાઉદી અરેબિયા ગયા હતા, જ્યારે બીજા મોટરમૅન મલેશિયા જઈને પાછા ફર્યા હતા. એ બન્ને જણ ડ્યુટી પર ચડી ગયા હતા. જે મલેશિયાથી પાછા ફર્યા હતા એ ડ્યુટી પર ચડી જ રહ્યા હતા ત્યાં જ તેમને રોકી દેવાયા હતા અને હાઉસ ક્વૉરન્ટીન કરાયા હતા.
મલેશિયા ગયેલા મોટરમૅને મંગળવારે બોરીવલી લોકલ દોડાવવા ટ્રેનમાં તેમની જગ્યાએ ગોઠવાઈ પણ ગયા હતા, પણ એ ટ્રેન ચાલુ કરે એ પહેલાં જ છેક છેલ્લી ઘડીએ તેમને તેમાંથી ઉતારી લેવાયા હતા અને મુંબઈ સેન્ટ્રલ જઈ ચેકઅપ કરવા કહ્યું હતું અને ત્યાર બાદ તેમને હાઉસ ક્વૉરન્ટીન કરાયા હતા.
આ પણ વાંચો : કોરોના વાઇરસ: માસ્કની તંગી દૂર કરવા કેદીઓ દ્વારા એનું ઉત્પાદન
વેસ્ટર્ન રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે જે પણ સ્ટાફની વિદેશયાત્રાની જાણ થઈ હતી તે તમામની ચકાસણી કરાઈ હતી.