કોરોના વાઇરસ: માસ્કની તંગી દૂર કરવા કેદીઓ દ્વારા એનું ઉત્પાદન
માસ્ક
મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના પગપેસારાને પગલે માસ્ક્સની સર્જાયેલી તંગીને પહોંચી વળવા માટે રાજ્યની જેલોએ રક્ષણાત્મક માસ્ક્સનાં ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવ્યું છે.
બુધવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ગૃહપ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે મહામારી દરમિયાન માસ્ક્સની વધી રહેલી માગને પહોંચી વળવા માટે મહારાષ્ટ્રની જેલોમાં એનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે જેલના વહીવટી તંત્રે તેમના આ વિચારને મંજૂરી આપી હતી અને કેદીઓએ ઉત્પાદનકાર્ય શરૂ કરી દીધું હતું. આ પૈકીનાં કેટલાંક માસ્ક્સ કેદીઓ તથા જેલના અધિકારીઓ વાપરે છે, જ્યારે બાકીનાં માસ્ક્સ સપ્લાયરોને વેચી દેવામાં આવે છે. દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે આ કામ માટે કેદીઓને વળતર ચૂકવવામાં આવે છે. દરમિયાન, ગૃહપ્રધાને જેલના વહીવટી તંત્રને મહામારીને ધ્યાનમાં રાખીને તમામ નવા કેદીઓનું સ્ક્રીનિંગ કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત વધારે પડતી ભીડને ટાળવા માટે કેટલાક કેદીઓને અન્ય જેલોમાં ખસેડવામાં આવશે અને મુંબઈના નવા કેદીઓને તળોજા જેલ ખસેડવામાં આવશે.