કોરોના : સરકાર વિદેશથી ગુજરાત આવેલા 27 હજાર લોકોને શોધશે
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ધીરે-ધીરે કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને ૩૭ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકાર લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહી છે. રાજ્યમાં કે દેશમાં વિદેશથી આવતા લોકો જ કોરોના સંક્રમિત હતા જેનાથી તેઓ જેના પણ સંપર્કમાં આવ્યાં તેમને પણ સંક્રમણ શરૂ થયું છે. આના કારણે હવે આરોગ્ય વિભાગે વિદેશથી રાજ્યમાં આવ્યા હોય એવા લોકોની શોધખોળ શરૂ કરી છે. મહત્ત્વનું છે કે વિદેશથી ૨૭ હજાર લોકો રાજ્યમાં આવ્યા છે.
ચીનના વુહાન શહેરમાં જ્યારે કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો હતો એ વખતે અભ્યાસ અને વેપાર માટે ચીન ગયેલા લોકો ગુજરાત પરત ફર્યા છે. આ ઉપરાંત અન્ય દેશોમાંથી પણ લોકો ગુજરાતમાં મોટી સંખ્યામાં આવ્યા હતા, જેના કારણે દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસના કેસો વધી રહ્યા છે ત્યારે વિદેશથી આવેલા લોકોનું લોકેશન મેળવવામાં આવી રહ્યું છે. ખુદ આરોગ્ય સચિવ જયંતી રવિએ કબૂલ્યું છે કે ૨૭ હજાર લોકો વિદેશનો પ્રવાસ કરીને ગુજરાત આવ્યા છે. કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને આ વિદેશથી પાછા ફરેલા લોકોની યાદી આપી છે. એ મુજબ આ બધાય લોકોનુ લોકેશન મેળવવામાં આવી રહ્યું છે.