સુપ્રીમમાં થયેલી અરજી પર ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે લાલઘૂમ
ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે
નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ)ને બંધારણીય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ આકરી ટિપ્પણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, એથી આવી પિટિશન ફાઇલ કરવાથી કોઈ ફાયદો થશે નહીં. શાંતિ માટે પ્રયાસ થવા જોઈએ.
ગઈ કાલે સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આવા સમયે દરેકનું લક્ષ્ય શાંતિ સ્થાપિત કરવાનું હોવું જોઈએ. આવી અરજીઓ કોઈ મદદ કરશે નહીં. હજી પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાયદો બંધારણીય છે કે કેમ. મુખ્ય ન્યાયાધીશે પણ આ દરમિયાન કહ્યું હતું કે સંસદ દ્વારા કરવામાં આવેલ અધિનિયમ બંધારણીય છે એ આપણે કેવી રીતે જાહેર કરી શકીએ? હંમેશાં બંધારણનું અનુમાન જ લગાવી શકાય છે. સુપ્રીમ કોર્ટે ઍડ્વોકેટ વિનીત ધંધા કે જેમણે ‘નાગરિકતા સુધારો કાયદામાં શાંતિ અને સુમેળમાં ખલેલ પહોંચાડનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરતી અરજી દાખલ કરી હતી જેને લઈને સુપ્રીમે કહ્યું કે દેશ એક મહત્ત્વપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, પ્રયાસ શાંતિ લાવવાનો હોવો જોઈએ અને આ પ્રકારની કાર્યવાહીથી કોઈ ફાયદો થશે નહીં.