અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટે નિર્ણય સુરક્ષીત રાખ્યો, હવે લેવાશે નિર્ણય
સુપ્રિમ કોર્ટ
New Delhi : દશકાઓથી ચાલી રહેલા અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસની આજેએટલે કે બુધવારે તેની અંતિમ સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણયને સુરક્ષીત રાખ્યો છે. આ કેસમાં હિન્દુ પક્ષ તરફથી નિર્મોહી અખાડા, હિન્દુ મહાસભા, રામજન્મભૂમિ ન્યાસ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને તેમની દલીલો રજૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવેમ્બરના પહેલાં સપ્તાહમાં આ કેસનો ચુકાદો આવી શકે છે. કેસમાં દરેક પક્ષોએ 4 વાગ્યા સુધીમાં જ દલીલો પૂર્ણ કરી દીધી હતી.
મુસ્લિમ પક્ષે છેલ્લી દલીલ રજૂ કરી હતી
સૌથી છેલ્લે મુસ્લિમ પક્ષ તરફથી દલીલ રજૂ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે લેખિત એફિડેવિટ, મોલ્ડિંગ ઓફ રિલીફને લેખિતમાં જમા કરાવવા માટે 3 દિવસનો સમય આપ્યો છે.
કોર્ટમાં સુનાવણી દરમિયાન શું થયું
જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, નકશો જોતા લાગે છે કે, રામચબૂતરો અંદર હતો. આ વિશે રાજીવ ધવને કહ્યું કે, બંને બાજુ કબ્રસ્તાન જ છે. રાજીવ ધવને કહ્યું કે, ચબૂતરો પણ મસ્જિદનો જ ભાગ છે. માત્ર ઈમારત જ નહીં પરંતુ સમગ્ર જગ્યા જ મસ્જિદનો હિસ્સો છે. રાજીવ ધવને કહ્યું કે ત્યાં મસ્જિદ હતી, તે અમારી હતી અને અમે પુનનિર્માણના હકદાર છીએ. ઈમારત ભલે તોડી પાડવામાં આવી હોય પરંતુ માલિકી હક અમારો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ મુસ્લિમ પક્ષને ASIનો નક્શો સમજાવવા કહ્યું હતું.
આ પણ જુઓ : આટલું શાનદાર, દમામદાર છે દિલ્હીમાં બનેલું ગરવી ગુજરાત ભવન, જુઓ ફોટોઝ
રાજીવ ધવને હિન્દુ પક્ષકારોને શું કરી દલીલ
રાજીવ ધવને હિન્દુ પક્ષકારોની દલીલનો જવાબ આપતા કહ્યું કે, યાત્રીઓના પુસ્તકો સિવાય તેમની પાસે ટાઈટલ એટલે કે માલિકી હકનો કોઈ પૂરાવો નથી. તેમણે કહ્યું કે તેમની વિક્રમાદિત્ય મંદિરની વાત માની લઈએ તો પણ તે રામજન્મભૂમિ મંદિરની દલીલ સાથે મેળ જ નથી થતી. તેમણે કહ્યું કે, 1886માં ફેઝાબાદ કોર્ટ કહી ચૂકી છે કે, ત્યાં હિન્દુ મંદિરનો કોઈ પુરાવો નથી મળ્યો. હિન્દુઓએ આ વાત પડકારી પણ નથી. રાજીવ ધવને આ દરમિયાન ભારતના ઈતિહાસ વિશે જણાવ્યું છે કે, ભારતમાં આર્યન સમયથી લોકો રહે છે. ઘણાં લોકો હજારો વર્ષો સુધી અહીં રહ્યા છે. ભારત એક નહતું પણ ઘણાં હિસ્સાઓ સાથે જોડાયેલું હતું. તેમણે કહ્યું કે, શિવાજી સમયે હિન્દુસ્તાનમાં રાષ્ટ્રવાદ વધ્યો હતો. રાજીવ ધવને કહ્યું કે, હિન્દુ મંદિરનો કોઈ પુરાવો નથી. 1886માં કમિશનરે કહ્યું હતું કે, હિન્દુઓ પાસે કોઈ અધિકાર નથી.