સુશાંતના આપઘાત માટે રિયા ચક્રવર્તીને જવાબદાર ગણતી અરજી કોર્ટમાં કરાઈ છે
સુષાંત સિંહ રાજપૂત
ફિલ્મસ્ટાર સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ ગયા રવિવારે તેના બાંદરાના ફ્લૅટના બેડરૂમમાંથી મળી આવ્યો હતો. બિહારની હાઈ કોર્ટમાં શનિવારે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે તેને આત્મહત્યા કરવા પ્રવૃત્ત કરવામાં આવ્યો હોવાની ફરિયાદ થઈ છે. કોર્ટે આ ફરિયાદની ૨૪ જૂને સુનાવણી રાખી છે.
બિહારના મુઝફ્ફપુરના કુંદનકુમારે બિહાર હાઈ કોર્ટમાં આ અરજી કરી છે, જેની સુનાવણી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ મુકેશકુમાર સામે થશે. અરજદાર કુંદનકુમારે રિયા ચક્રવર્તીએ તેનું આર્થિક અને માનસિક શોષણ કર્યાનો આરોપ મૂક્યો છે. તેના વતી તેના વકીલે કહ્યું હતું કે મારા અસીલ સુશાંત સિહ રાજપૂતના ફૅન હતા અને તેના મૃત્યુથી તેમને ઘણું દુઃખ થયું છે. તેમણે આ ફરિયાદ ભારતીય દંડસંહિતાની કલમ ૩૦૬ (આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવું) અને ૪૨૦ (છેતરપિંડી) હેઠળ નોંધાવી છે. સુશાંત સિંહના મૃત્યુને લઈને બિહારની કોર્ટમાં આ બીજી પિટિશન દાખલ કરાઈ છે. ગયા અઠવાડિયે સ્થાનિક વકીલ સુધીરકુમાર ઓઝાએ સલમાન ખાન, આદિત્ય ચોપડા, કરણ જોહર અને સંજય લીલા ભણસાલી સામે ફરિયાદ નોંધાવી હતી.