જમ્મુ-કાશ્મીરમાં આઝાદી દિને લાલ ચોક પર તિરંગો ફરકાવી શકે છે અમિત શાહ
અમિત શાહ
કેન્દ્રીય પ્રધાન અમિત શાહ આ વખતે જમ્મુ-કાશ્મીરમાં ૭૩મા સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી શકે છે. મળી રહેલા સમાચાર અનુસાર ૧૪ ઑગસ્ટની સાંજે શાહ શ્રીનગર માટે રવાના થવા માટેની યોજના બનાવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનુચ્છેદ ૩૭૦ દૂર કર્યા બાદ ૧૫ ઑગસ્ટે શ્રીનગરના લાલ ચોક પર તિરંગો લહેરાવી શકે છે. બિહારના મુખ્ય પ્રધાન અને જેડીયુ અધ્યક્ષ નીતિશકુમારે પણ તેનું સમર્થન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેન્દ્ર સરકારે અનુચ્છેદ ૩૭૦ દૂર કરવાની સાથે જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરી બન્નેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યા. જો કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સ્વતંત્રતા દિવસ પર લાલ ચોકમાં તિરંગો ફરકાવે છે તો આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારનું બીજું ઐતિહાસિક પગલું હશે. શ્રીનગર બાદ અમિત શાહ ૧૬ અને ૧૭ ઑગસ્ટે લદ્દાખના પ્રવાસે જઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કર્મણ્યેવાધિકારસ્તે કોને કહેવાય એ સુષમાજીએ દેખાડ્યું: મોદી
કેન્દ્રમાં ૧૫ ઑગસ્ટના કાર્યક્રમની તૈયારી અંગે આંતરિક ચર્ચાઓ ચાલી રહી છે. નૅશનલ સિક્યૉરિટી એડ્વાઈઝર અજિત ડોભાલ પણ હાલમાં ઘાટીનો પ્રવાસ કરી રહ્યા છે. આ પહેલાં પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોની ધમકીઓ મળી તેમ છતાં ૨૬ જાન્યુઆરી ૧૯૯૨ના રોજ તત્કાલીન બીજેપી અધ્યક્ષ મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી (ત્યારે આરએસએસ પ્રચારક)એ શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો હતો.