૧૮૦૦ વર્ષ પછી અમરાવતી બનશે રાજધાની શહેર
નવી રાજધાની માટે હવન : આંધ્ર પ્રદેશની નવી રાજધાની અમરાવતીનું ભૂમિપૂજન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગઈ કાલે કરવામાં આવ્યું હતું અને તેમણે હવનમાં ભાગ લીધો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કૉન્ગ્રેસ પર વેરઝેર ફેલાવવા, યુવાનોને ઉશ્કેરવા તથા તેલંગણ અને આંધ્ર પ્રદેશ વચ્ચે તંગદિલી ફેલાવવાનો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે રાજકીય સ્વાર્થને કારણે ઉતાવળે આંધ્ર પ્રદેશનું વિભાજન કર્યું હતું.
૧૮૦૦ વર્ષ પૂર્વે સાતવાહન રાજાઓના રાજ્યની રાજધાની રહી ચૂકેલા અમરાવતી શહેરને હવે ફરી રાજધાનીનો દરજ્જો મળી રહ્યો છે. આ નર્ણિયને પગલે ઐતિહાસિક, રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા ધરાવતા હોવા છતાં અવગણના પામેલા શહેરને નવી ઓળખ મળશે
આંધ્ર પ્રદેશના વિભાજન બાદ નવી રાજધાની અમરાવતીની આધારશિલા મૂકતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘લોકો જૂઠાણાં અને ખોટા પ્રચારનો ભોગ ન બને. જો એવું બનશે તો આંધ્ર અને તેલંગણ વચ્ચે તંગદિલી વધશે.’
ઉતાવળે આંધ્ર-તેલંગણનું વિભાજન કરવામાં આવ્યું
વડા પ્રધાને રાજ્યના વિભાજન વિશે વધુમાં જણાવ્યું હતું કે ‘કેટલાક લોકોએ તેમના રાજકીય સ્વાર્થને કારણે સલાહ, મસલત, ચર્ચા, પરામર્શની વિધિ ઉચિત પદ્ધતિએ પાર પાડ્યા વગર ઉતાવળે આંધ્ર પ્રદેશનું વિભાજન કરી નાખ્યું છે. વિભાજનના આ ઘટનાક્રમમાં જાનમાલ ગુમાવનારાઓનું દરદ કેવું હશે, એ હું સમજી શકું છું. અંગ્રેજો એવી બાબતો છોડીને ગયા છે, જેને કારણે આજે પણ દેશમાં તંગદિલી જોવા મળે છે. આગલી સરકારે પણ એવું કંઈક કર્યું કે જેને કારણે રોજ તણાવ પેદા થાય છે.’
આંધ્ર પ્રદેશના વિજયવાડા અને ગુંટુર વચ્ચેના અમરેfવર મંદિરને કારણે અમરાવતી નામ પામેલા આ પાટનગરમાં છાંટવા માટે યમુના નદીનું પાણી અને સંસદ પરિસરની માટી લઈને આવેલા મોદીએ જણાવ્યું હતું કે આ પ્રતીકોમાં એક શક્તિ છે અને આંધ્ર પ્રદેશના નવી ઊંચાઈ તરફના પ્રવાસમાં દિલ્હી સાથે હોવાનો સંદેશ છે.