લોકસભામાં ગૃહપ્રધાને આપી ખાતરી, આરોપીઓને છોડવામાં નહીં આવે
અમિત શાહ
કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે ગઈ કાલે લોકસભામાં દિલ્હીની હિંસા વિશેની ચર્ચાનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ‘દિલ્હીની હિંસાની તપાસમાં નિર્દોષ લોકોની સામે પગલાં ન લેવાય એની તકેદારી કેન્દ્ર સરકાર રાખે છે. એ દિવસોમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર અમેરિકાના પ્રમુખ આવવાના હતા. તેઓ મારા મત વિસ્તારમાં આવવાના હતા. બીજા દિવસે અમેરિકાના પ્રમુખ દિલ્હીમાં આવ્યા ત્યારે પણ હું એક પણ કાર્યક્રમમાં હાજર નહોતો. એ બધા વખતમાં હું પોલીસ-અધિકારીઓ સાથે બેઠો હતો. એથી મેં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલને હિંસાગ્રસ્ત વિસ્તારમાં જવાની વિનંતી કરી હતી.’
અમિત શાહે જણાવ્યું હતું કે ‘પોલીસ દળો મારા રક્ષણ તરફ ધ્યાન આપે અને અશાંતિ પર નિયંત્રણના કામને અસર થાય એવું હું ઇચ્છતો નહોતો. એથી મેં અશાંત વિસ્તારોની મુલાકાત લીધી નહોતી. મને સવાલ પૂછવાનો તમને અધિકાર છે, પરંતુ હકીકતો સાથે ચેડાં કરવાનો કોઈને અધિકાર નથી. ટૂંકા ગાળામાં વ્યાપક પ્રમાણમાં રમખાણોનો ફેલાવો કાવતરા વિના શક્ય નથી. ૨૫ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં શાંતિ સમિતિની ૬૫૦ બેઠકો યોજાઈ ચૂકી છે. ૨૭ ફેબ્રુઆરીથી આજ સુધીમાં ૭૦૦ એફઆઇઆર નોંધાયા છે.’