કોરોના મહામારીઃ 600 કંપનીઓ ચીનને બાય-બાય કહેવાના મૂડમાં
પ્રતીકાત્મક તસવીર
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં ચીન સામે ગુસ્સો દેખાઈ રહ્યો છે. ચીનથી ફેલાયેલા આ જીવલેણ વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધી ૬૩ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે ૩.૭૭ લાખ લોકોના મોત થયા છે. કોરોના વાઇરસે ભારતમાં પણ હાહાકાર મચાવ્યો છે. પરંતુ હવે કોરોના વાઇરસના કારણે ચીનને પણ મોટો ઝટકો લાગે એવા સંકેત મળી રહ્યા છે. કારણ કે લગભગ ૬૦૦ કંપનીઓ પોતાનો કારોબાર સમેટીને ભારત આવવાની તૈયારી કરી રહી છે.
એક મીડિયા રિપોર્ટ મુજબ ભારત સરકારની આ કંપનીઓ સાથે વાતચીત ચાલી રહી છે. આ યોજનાને સફળ બનાવવા માટે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયએ રાજ્યો સાથે પણ સંપર્ક સાધ્યો છે. જે રાજ્ય સૌથી ઓછી કિંમતે અને ઓછા સમયમાં પ્લાન્ટ લગાવવાની સુવિધા આપશે. એવા રાજ્યોને ત્યાં વિદેશી કંપનીઓને જવા મંજૂરી આપવામાં આવશે. રાજ્યોને પણ અલગથી પ્રોત્સાહન આપવામાં આવશે.
ADVERTISEMENT
એક ખાનગી મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે વિદેશી કંપનીઓને ભારતમાં લાવવા માટે રાજ્યોની ભૂમિકા મહત્વની હશે. સરકારની કોશિશ છે કે વિદેશી કંપનીઓને પોતાના રાજ્યમાં આમંત્રિત કરવા માટે રાજ્યો વચ્ચે પ્રતિસ્પર્ધા થાય. પીયૂષ ગોયલે કહ્યું કે કોરોના વાઇરસે પડકારો આપ્યા છે તો સાથે જ કેટલીક તક મળવાના સંકેત પણ આપ્યા છે. આ અંગે સરકાર ઉદ્યોગ જગત સાથે મળીને આગળની રણનીતિ બનાવી રહી છે.