મોદીથી પ્રભાવિત થઈને ૧૪ રાજવીઓ બીજેપીમાં જોડાયા
ADVERTISEMENT
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનાં વિકાસકાર્યોથી પ્રભાવિત થયેલા ગુજરાતના જુદા-જુદા રાજઘરાનાના ૧૪ રાજવીઓ ગઈકાલે બીજેપીમાં જોડાયા હતા, જેમાં છોટાઉદેપુરનાં રાજમાતા નિર્મલકુમારી ચૌહાણ અને શિવરાજપુર, પંચમહાલનાં પૂનમબહેન ઠાકોરનો પણ સમાવેશ થાય છે.
બીજેપીના પ્રવક્તા આઇ. કે. જાડેજાએ કહ્યું હતું કે જેમણે ભૂતકાળમાં કોઈ રાજનીતિ કરી નથી, પણ રાજશાસન વ્યવસ્થાના કુળમાંથી આવે છે તેવા રાજઘરાનાંના રાજવીઓ બીજેપીમાં જોડાયા છે. તેમને બીજેપી આવકારે છે. બીજેપીના પુરુષોત્તમ રૂપાલા અને આઇ. કે. જાડેજાએ તમામ રાજવીઓને બીજેપીનો ખેસ પહેરાવી વિધિવત્ રીતે પ્રવેશ કરાવ્યો હતો અને આવકાર્યા હતા.
છોટાઉદેપુરના ઐશ્વર્ય પ્રતાપસિંહ વીરેન્દ્રસિંહ ચૌહાણની આગેવાનીમાં પંચમહાલના શિવરાજપુરના અજિતસિંહ, બાકરોલના કુલદીપસિંહ ગોહિલ, વડોદરા જિલ્લાના કદવાલના જયપ્રતાપસિંહ, છાલિયેરના રતનદીપસિંહ, નટવરનગરના ચંદ્રવિજયસિંહજી ચાસઠિયા, આણંદ જિલ્લાના ઉમેટાના અનિરુદ્ધસિંહ પરિહાર, ખેરડાના હનુમાનસિંહ પરમાર, સાબરકાંઠા જિલ્લાના સાબલવાડના શત્રુઘ્નસિંહ, રાજકોટ જિલ્લાના આરવી ટીંબાના સૌરભસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા, ગાંધીનગર જિલ્લાના વરસોડાના ઠાકુરસાહેબ જયવિજયસિંહજી અને મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના કુવાધર્મરાયના અને હાલ વડોદરા સ્થાયી થયેલા કુંવર ચંદ્રસિંહ સોલંકી બીજેપીમાં જોડાયા હતા.
ઐઐશ્વર્ય પ્રતાપસિંહ વીરેન્દ્રસિંહ ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું કે છેલ્લાં ૧૦ વર્ષથી અમે નરેન્દ્ર મોદી દ્વારા થઈ રહેલા વિકાસને જોયો છે. વિકાસના કારણે ગુજરાત પ્રગતિના પંથે છે. આ વિકાસના કારણે જ અમે રાજવી પરિવારોએ બીજેપીમાં જોડાવાનો નર્ણિય કર્યો છે. શું તમે ચૂંટણીમાં ઉમેદવારી કરશો? એવા પ્રશ્નના જવાબમાં મહારાજા ઐઐશ્વર્ય પ્રતાપસિંહ વીરેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું હતું કે હું ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો નથી.