અમદાવાદથી માત્ર 2 કલાકના અંતરે આવેલું છે 1200 વર્ષ જૂનું ગણપતિ મંદિર
ઐઠોર ગણપતિ મંદિર (Image Courtesy:Youtube)
ગણેશોત્સવ ચાલી રહ્યો છે. દેશ આખો ગણપતિની પૂજા અર્ચનામાં રંગાઈ ચૂક્યો છે. ઠેર ઠેર ગણપતિના પંડાલો જોવા મળી રહ્યા છે. ગણેશચતુર્થીથી અનંત ચૌદશ સુધીના ગાળામાં ભગવાન ગણેશના દર્શન કરી આશીર્વાદ મેળવવાનું મહાત્મય જુદુ જ છે. અને એમાંય જો ભગવાન ગણેશનું મંદિર ઐતિહાસિક હોય તો તો સોનામાં સુગંધ ભળે. તમે પણ જો આ ગણેશોત્સવ દરમિયાન ભગવાન ગણેશના દર્શન કરવા જવાનું વિચારી રહ્યા હો, તો અમદાવાદથી માત્ર 2 કલાક દૂર આવેલું ઐઠોરનું ગણેશ મંદિર એક પરફેક્ટ જગ્યા છે. જ્યાં તમે ભગવાન ગણેશના આશીર્વાદ પણ મેળવી શક્શો, સાથે સાથે તમારે વન ડે પિકનિક પણ ગોઠવાઈ જશે.
અમદાવાદથી માત્ર 2 કલાકના અંતરે એટલે કે મહેસાણાના ઉંઝા તાલુકામાં ઐઠોર નામનું ગામ છે. અહીંનું ગણપતિ મંદિર લગભગ 1200 વર્ષ જુનું હોવાની માન્યતા છે. કહેવાય છે. કહેવાય છે કે આ મંદિરમાં રહેલી ગણપતિજીની પ્રતિમાનો સંબંધ પાંડવયુગ સાથે છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં સોલંકી રાજવીઓ અવારનવાર ઐઠોર આવીને પૂજન-અર્ચન કરતા અને મહાન કાર્યના શુભારણ પ્રસંગે અહી પૂજન કર્યા બાદ જ તેઓ આગળ વધતા.
ADVERTISEMENT
આ મંદિરની સ્થાપના અંગે એક માન્યતા એ પણ છે કે જ્યારે ઈન્દ્રના લગ્ન હતા, ત્યારે ગણપતિને તેની સૂંઢ અને વિચિત્ર દેખાવનું કારણ આપી આમંત્રણ નહોતું અપાયું. પરંતુ જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર નજીક પહોચી ત્યારે ગણેશજીના કોપને કારણે જાનમાં જોડાયેલા તમામ રથ તૂટી ગયા. આ ઘટના બનવાનું કારણ સમજાયા બાદ દેવોએ ગણેશજીને મનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. જાનમાં આવેલા તમામ દેવી દેવતાઓ ઘોડા-બળદ બાંધીને પુષ્પાવતી નદીના કિનારે આવ્યા અને પૂજન આર્ચન કરીને ગણેશજીને પ્રસન્ન કર્યા. આ પ્રસગે ઐઠોરના તળાવના કિનારે ગોઠ વેચી હતી. દંતકથા મુજબ આ તળાવ ગોથીયું તળાવ તરીકે ઓળખાય છે. આ સિવાય નદી કિનારે ૩૩ કરોડ દેવતાઓનું નાનકડું મંદિર પણ છે.
દેવોએ ગણપતિને મનાવ્યા બાદ ભગવાન ગણેશ પણ જાનમાં જોડાયા. ભારે કાયાવાળા ગણેશજી વધુ ચાલી શકે તેમ ન હોવાથી ભગવાન શંકરે ગણેશજીને અહી ઠેર એમ કહ્યું. કહેવાય છે કે આ શબ્દો પરથી જ ગામનું નામ ઐઠોર પડ્યું છે. ગણેશજી ઐઠોરમાં રોકાયા અને શિવજી, પાર્વતીજી અને કાર્તિકેયજી જાનમાં આગળ ચાલ્યા પરંતુ થોએ દુર ગયા બાદ માતા પાર્વતીજી ને પોતાના દીકરાને મુકીને જાન માં જવાની ઈચ્છા ન થઈ, એટલે તેઓ ઉંઝામાં રોકાયા, જ્યાં આજે ઉમિયા માતાજીનું મોટું મંદિર છે. જાન આગળ વધી તો પોતાના ભાઈ અને માતા વગર આગાર વધવાનું ન ગમતા કાર્તિકેયજી સિદ્ધપુર ખાતે રોકાયા, જ્યાં આજે પણ કાર્તિકેયજી મંદિર હયાત છે.
આ પણ વાંચોઃ જાણો ગુજરાતના જોવા લાયક જૈન દેરાસરો વિશે...
આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં ભગવાન ગણેશની મૂર્તિ ધાતુ કે પત્થરમાંથી નહીં પરંતુ માટીમાંથી બનાવાઈ છે. જેના પર સિંદુર અને તેલનો લેપ કરાયેલો છે. આ ઐતિહાસિક મંદિરની મુલાકાતે વર્ષે લાખો લોકો આવે છે. ગણેશોત્સવ દરમિયાન તમે પણ અહીં જઈ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવી શકો છો.
માહિતી http://www.shreeaithoraganesh.orgના આધારે