વારંવાર ચોખા ધોવાની આદત પૌષ્ટિક તત્ત્વોને પણ એમાંથી દૂર કરી શકે છે
ભાત રાંધતાં પહેલાં ચોખા કેટલી વાર ધોવા જોઈએ?
ભાત બનાવવાના હોય ત્યારે ચોખાને ત્યાં સુધી ધોવામાં આવે છે જ્યાં સુધી પાણી એકદમ ચોખ્ખું ન નીકળે. પણ શું પાંચથી ૭ વખત ચોખાને ધોવાથી એમાંથી હાનિકારક તત્ત્વો નીકળે છે ખરાં? હેલ્થ-એક્સપર્ટ્સ આવી ટેવ પર પુનર્વિચાર કરવાની સલાહ આપે છે. તેઓ માને છે કે ચોખાને બહુ વધારે વાર ધોવાથી એ વધુ સ્વચ્છ કે સુરક્ષિત નથી બનતા, પરંતુ એનાથી એનાં મહત્ત્વનાં પોષક તત્ત્વો ધોવાઈ જાય છે.
આટલું જાણ્યા બાદ રસોઈ બનાવતાં પહેલાં ચોખા ધોવા જરૂરી છે, પરંતુ કેટલી વાર એવો સવાલ થતો હશે. પૅકેજ્ડ કે પ્રોસેસ્ડ ચોખા પર જમા થયેલી ધૂળ, સપાટી પરનો વધારાનો સ્ટાર્ચ અને સામાન્ય અશુદ્ધિઓ દૂર કરવા માટે બે વાર સ્વચ્છ પાણીથી ચોખા ધોવા પૂરતું છે. એને સતત ૭ વાર ધોવાથી ખોરાકની સુરક્ષા કે હાઇજીનમાં કોઈ મોટો ફરક પડતો નથી, ફક્ત પાણીનો બગાડ થાય છે. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના અભ્યાસો અનુસાર પ્રોસેસ્ડ ચોખામાં આર્સેનિક નામનું હાનિકારક તત્ત્વ હોય છે. એને વારંવાર ધોવાથી એ જળમૂળથી ધોવાતું નથી. આનું એક સૉલ્યુશન એ હોઈ શકે કે એને રાંધવાની પદ્ધતિ બદલી શકાય. ચોખાને વારંવાર ધોવાને બદલે એને રાંધતી વખતે વધુ પાણી નાખવું. એ રંધાઈ ગયા બાદ એક્સ્ટ્રા પાણી કાઢી લેવું. પહેલાંની ગૃહિણીઓ ભાતને આ રીતે રાંધતી. આ પદ્ધતિને ઓસામણ કહેવાય. ભાતને ઓસાવવાથી એમાં રહેલા આર્સેનિક તત્ત્વને ઘટાડી શકાય છે. ચોખાને સતત ધોઈને પાણી તદ્દન ચોખ્ખું કરી નાખવાની ટેવ વાસ્તવમાં પોષક તત્ત્વોના નુકસાનનું કારણ બની શકે છે. ચોખાને જ્યારે પાંચથી ૭ વાર મસળીને ધોવામાં આવે છે ત્યારે એમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ નાશ પામી શકે છે. ખાસ કરીને પૉલિશ્ડ ચોખામાં આયર્ન, ફોલેટ, થાઇમિન અને નિયાસિન જેવાં પોષક તત્ત્વો પાણી સાથે બહાર નીકળી શકે છે અને પાણીનો પણ બગાડ થાય છે.
શું કરવું?
ADVERTISEMENT
સ્વાસ્થ્ય અને પર્યાવરણ બન્નેના દૃષ્ટિકોણથી જોઈએ તો ચોખાને પાણી એકદમ કાચ જેવું પારદર્શક થાય ત્યાં સુધી ધોવાની જરૂર નથી. માત્ર બેથી ૩ વાર જ ધોવાથી ચોખા રસોઈ માટે યોગ્ય બની જાય છે. આ પદ્ધતિથી તમારા ભોજનની પૌષ્ટિકતા જળવાઈ રહેશે, રસોઈ માટેનો સમય પણ બચશે અને સાથે-સાથે પાણી બગાડ પણ અટકાવી શકાશે.
