દ્વારકાની પૃષ્ઠભૂમિ પર રચાયેલી પરિવાર, સંબંધો અને જવાબદારીઓની નવી વાર્તા! દંગલ ટીવીના નવા શો ‘હમારી ભાભી નંબર 1’માં સોનલ ખિલવાની ‘બંસરી ભાભી’ની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ શો સોમવારથી શનિવાર રાત્રે 9:30 વાગ્યે પ્રસારિત થશે.
શોના કલાકારો શોની જાહેરાત દરમિયાન - તસવીર સૌજન્ય પીઆર
એન્ટર10 ટીવી નેટવર્કની મુખ્ય ચેનલ દંગલ ટીવીએ તેનો નવો ઓરિજિનલ પારિવારિક શો ‘હમારી ભાભી નંબર 1’ રજૂ કર્યો છે. આ ધારાવાહિક એક એવી સમર્પિત મહિલાની આસપાસ ફરે છે, જેણે પોતાના પરિવારનું પાલનપોષણ કર્યું છે, તેને સાચવ્યો છે અને હંમેશાં તેનું રક્ષણ કર્યું છે. ભગવાન શ્રીકૃષ્ણની પાવન અને ઐતિહાસિક નગરી દ્વારકાની પૃષ્ઠભૂમિ પર આધારિત આ શો પરિવાર, આસ્થા, સંબંધો, જવાબદારીઓ અને રોમાંચક વળાંકોને એક તાંતણે વણી લે છે. આ શો દર સોમવારથી શનિવાર રાત્રે 9:30 વાગ્યે ફક્ત દંગલ ટીવી પર પ્રસારિત થશે.
મંદિરની પૃષ્ઠભુમિ
ADVERTISEMENT
વાર્તાના કેન્દ્રમાં પરંપરાઓ અને મંદિર વિરાસત સાથે ગાઢ રીતે જોડાયેલો ‘કપાડિયા પરિવાર’ છે. આ ઘરની સૌથી મોટી વહુ અને સમગ્ર પરિવારનું ભાવનાત્મક કેન્દ્ર ‘બંસરી કપાડિયા’નું પાત્ર અભિનેત્રી સોનલ ખિલવાની ભજવી રહી છે. બંસરીનો સૌથી મજબૂત અને વહાલો સંબંધ તેના દિયર લક્ષ્ય ઉર્ફે "લાલો" કપાડિયા (સાહિલ બલાની) સાથે છે. બંસરીએ લાલોનો ઉછેર માત્ર એક ભાભી તરીકે નહીં પરંતુ માર્ગદર્શક, રક્ષક અને માતા બનીને કર્યો છે. લાલો પણ તેને પોતાની માતા સમાન માને છે અને દરેક વાતમાં તેના પર નિર્ભર છે.

તેમની સાથે પ્રથમ કંવર કપાડિયા પરિવારના મોટા પુત્ર ‘અનંત કપાડિયા’ની ભૂમિકામાં છે, જે શિસ્તબદ્ધ, પ્રતિષ્ઠિત અને પરિવારના વૈશ્વિક ટેમ્પલ હેરિટેજ સામ્રાજ્યનો વારસદાર છે. જોકે, તન્વી સાવંત દ્વારા ભજવવામાં આવતા ‘મુસ્કાન’ના પાત્રના આગમન સાથે પરિવારમાં એક અનપેક્ષિત વળાંક આવે છે, જે ઘરના સંબંધો અને તેના પોતાના ઇરાદાઓ પર અનેક સવાલો ઊભા કરે છે.
શો સાથે જોડાયેલાઓનું કહેવું છે...
પોતાના પાત્ર અને શો વિશે વાત કરતાં સોનલ ખિલવાનીએ જણાવ્યું હતું કે, “મેં ‘હમારી ભાભી નંબર 1’ પસંદ કરી તેનું સૌથી મોટું કારણ તેનો તદ્દન નવો કોન્સેપ્ટ છે. આપણે સામાન્ય રીતે નવી પરણેલી વહુ કે માતાની વાર્તાઓ જોઈએ છીએ, પરંતુ પરિવારની મોટી ભાભી—જે શાંતિથી સમગ્ર ઘરની જવાબદારીઓ અને લાગણીઓનો બોજ ઉપાડે છે—તેની સફર ભાગ્યે જ દર્શાવવામાં આવે છે. બંસરી મજબૂત, નિઃસ્વાર્થ અને પરિવાર પ્રત્યે સમર્પિત છે, ખાસ કરીને તેના દિયર લાલો પ્રત્યે, જેને તેણે પોતાના સંતાનની જેમ ઉછેર્યો છે. દર્શકો તેની આ સફરને પસંદ કરશે તેવી મને આશા છે.” શોના વિઝન અંગે એન્ટર10 ટીવી નેટવર્કના ડિરેક્ટર અક્ષત સિંઘલે જણાવ્યું હતું કે, “અમારો સતત પ્રયાસ દર્શકોની પસંદ સાથે સુસંગત હોય તેવા શો તૈયાર કરવાનો છે. પરિચિત પારિવારિક સંબંધોને નવા પરિપ્રેક્ષ્ય, સમકાલીન સંઘર્ષો અને જીવંત પાત્રો દ્વારા રજૂ કરવાનો અમારો વિચાર છે. દ્વારકાની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ શોને વિશિષ્ટ ઓળખ આપે છે, જ્યારે કપાડિયા પરિવારના આંતરિક સંઘર્ષો વાર્તાને રોમાંચક બનાવે છે. અમને વિશ્વાસ છે કે આ શો દર્શકો સાથે ઊંડાણપૂર્વક જોડાઈ શકશે.”
