Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સોડિયમ ઘટી રહ્યું છે

22 May, 2023 04:20 PM IST | Mumbai
Dr. Sushil Shah

જો સોડિયમ શરીરમાં વધારવું હોય તો સરળ ઉપાય છે સોડિયમ ક્લોરાઇડ લેવું એટલે કે મીઠું ખાવું, સ્વાદ કરતાં વધુ મીઠું ફાંકી શકાતું નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

ઓ.પી.ડી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


હું ૫૫ વર્ષનો છું. મને છેલ્લાં ૧૦ વર્ષથી હાયપરટેન્શન છે. હું આ હાયપરટેન્શનની ત્રણ દવા લઉં છું, જેનાં નામ અને પ્રિસ્ક્રિપ્શન તમને મોકલાવું છું. છેલ્લા એક મહિનાથી મારી તબિયત લથડી છે. મારી બધી ટેસ્ટ નૉર્મલ હતી, છતાં મને ખૂબ જ થાક લાગતો હતો. ડૉક્ટરની સલાહ મુજબ મેં મારું સોડિયમ ચેક કરાવ્યું અને એ શરીરમાં ઓછું થઈ ગયું હતું. રિપોર્ટ મુજબ ૧૨૫ જેવું થઈ ગયું હતું જે આદર્શ રીતે ૧૩૫થી ૧૪૮ની રેન્જમાં હોવું જોઈતું હતું. સોડિયમને કારણે હમણાં બ્લડ પ્રેશર પણ ૧૦૦/૬૦ની આસપાસ જ રહે છે. આ પરિસ્થિતિ મુજબ મારે શું કરવું જેનાથી મારું સોડિયમ વધે. મેં એવું સાંભળ્યું છે કે સોડિયમ વધારવા માટે જે દવા ખાવામાં આવે એના સાઇડ-ઇફેક્ટ ઘણા હોય છે. 

આ પણ વાંચો :  આયર્નની દવા ખાવા છતાં એ વધતું નથી
  
સારું છે કે તમારું નિદાન વ્યવસ્થિત થઈ ગયું કે તમારું સોડિયમ ઘટી રહ્યું છે. આ સામાન્ય તકલીફ છે, પરંતુ એને ગંભીરતાથી લેવી જરૂરી છે. નહીંતર વ્યક્તિ કોમામાં જઈ શકે છે કે ધ્યાન ન રાખીએ તો એ ઘાતક પુરવાર થઈ શકે છે, માટે સોડિયમ લેવલ ઠીક કરવું જરૂરી છે. સૌથી પહેલાં તો તમારી બધી જ બ્લડ પ્રેશરની દવાઓ થોડા સમય માટે બંધ કરવી જરૂરી છે. એ દવાઓ ચાલુ રહેશે તો તમારું બ્લડ પ્રેશર ઘટતું જ જશે. થોડા સમય બ્લડ પ્રેશરની એક પણ દવા ન લો. બીજું જો સોડિયમ શરીરમાં વધારવું હોય તો સરળ ઉપાય છે સોડિયમ ક્લોરાઇડ લેવું એટલે કે મીઠું ખાવું, સ્વાદ કરતાં વધુ મીઠું ફાંકી શકાતું નથી. એ માટે એનો સરળ ઉપાય એ છે કે કેમિસ્ટ પાસે ખાલી કૅપ્સ્યુલ મળતી હોય છે. જો એ ન મળે તો વિટામિન Bની કૅપ્સ્યુલ ખાલી કરવી અને એમાં મીઠું ભરી લેવું અને સવાર-સાંજ એક-એક કે જરૂરત લાગે ત્યારે એ કૅપ્સ્યુલ લઈ લેવી. એની સાથે-સાથે સોડિયમનું મૉનિટરિંગ કરતા રહેવું જરૂરી છે. એટલે કે હાલમાં તમારું સોડિયમ ૧૨૫ છે. ૪ દિવસ મીઠાની કૅપ્સ્યુલ લીધાં પછી સોડિયમ વધ્યું કે નહીં એ સતત ચેક કરવું જરૂરી છે. આ એક એવી સમસ્યા છે જેમાં ક્લોઝ ફૉલોઅપ જરૂરી છે. દર ૩-૪ દિવસે સોડિયમ સીરમની ટેસ્ટ કરાવતા રહો અને જ્યાં સુધી સોડિયમનું લેવલ વધે નહીં ત્યાં સુધી મીઠાની કૅપ્સ્યુલ લો. એક વખત સોડિયમ વધશે તો આપોઆપ બ્લડ પ્રેશર પણ વધશે. એ પછી ડૉક્ટરની સલાહ મુજબ જ દવાઓ ચાલુ કરશો. બીજું મહત્ત્વનું છે કે સોડિયમ કેમ અચાનક ઘટી રહ્યું છે એની તપાસ પણ કરવી પડશે, પરંતુ હાલમાં તો તમે એ લેવલ વધારવા પર ધ્યાન આપો. 


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2023 04:20 PM IST | Mumbai | Dr. Sushil Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK