સવારે મોબાઇલમાં અલાર્મ વાગે ત્યારે સ્નૂઝ કરીને ૧૫ મિનિટ વધુ ઊંઘવાવાળા લોકોને એ ખબર નથી કે અલાર્મ-સિસ્ટમ તમારી ઊંઘની સાઇકલને જ પ્રભાવિત કરે છે
પ્રતીકાત્મક તસવીર
તમે સવારે કેવા મૂડમાં ઊઠો છો એના આધારે આખો દિવસ કેવો જશે એ નક્કી થાય છે. તમે જે અવાજ સાથે ઊઠો છો એ અવાજ તમારી નર્વસ સિસ્ટમને દિવસનું પહેલું સિગ્નલ આપે છે. અત્યારે તો લોકોને અલાર્મનો અવાજ ઉઠાડે છે. ભરનીંદરમાં સૂતી વ્યક્તિની બાજુમાં લાઉડ મ્યુઝિકવાળું અલાર્મ વાગે તો અચાનક ઊંઘ ઊડી જાય છે અને એમાં ખલેલ પડે છે. આપણે આ ચીજને બહુ નૉર્મલ બનાવીને રૂટીનનો હિસ્સો બનાવી લીધો છે, પણ એનો અર્થ એ નથી કે એ હેલ્ધી લાઇફસ્ટાઇલનો ભાગ છે. અલાર્મ પર આધાર રાખીને ઊઠવાની આદત લાંબા ગાળે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. તેથી સવારે સૂર્યોદય સમયે આવતી નૅચરલ સનલાઇટથી ઊઠો તો આખો દિવસ એનર્જેટિક અને રિફ્રેશિંગ લાગશે.
અલાર્મ શરીરનું મેકૅનિઝમ બગાડે
ADVERTISEMENT
તાજેતરમાં થયેલા એક અભ્યાસ અનુસાર નૅચરલ સનલાઇટને બદલે અલાર્મનો અવાજ સાંભળીને ઊઠનારા ૭૪ ટકા જેટલા લોકોને ઊઠ્યા બાદ માથાનો દુખાવો, થાક અને બૉડી-પેઇનની ફરિયાદો રહેતી હોય છે. આઠ કલાક કરતાં ઓછી ઊંઘ અને અલાર્મના અવાજથી અચાનક જાગવાથી હૃદયના ધબકારા વધી જાય છે અને બ્લડપ્રેશર વધે છે અને સ્ટ્રેસના હૉર્મોન કહેવાતા કૉર્ટિઝોલનું સ્તર વધે છે. આ બધાં જ પરિબળો આખા દિવસની એનર્જી અને મૂડ પર અફેક્ટ કરે છે. જો અલાર્મના અવાજથી ઊઠવાની આદત પડી જાય તો નજીકના ભવિષ્યમાં હાઈ બ્લડ-પ્રેશર થવાનું જોખમ વધી જતું હોય છે. આ ઉપરાંત કોઈને અનિદ્રાની સમસ્યા હોય અથવા સાત કલાક કરતાં ઓછી ઊંઘ થતી હોય એવા લોકોને હાઈ બ્લડપ્રેશર થવાનું જોખમ વધુ રહેલું હોય છે. આ રીતે અલાર્મની સિસ્ટમ શરીરના મેકૅનિઝમ અને નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે. ભરનીંદરમાં સૂતી વખતે લાઉડ મ્યુઝિક વાગે તો ઊંઘમાં ખલેલ પડવાની સાથે નર્વસ સિસ્ટમ ડિસ્ટર્બ થાય છે અને સમયાંતરે હૃદયરોગ સંબંધિત બીમારી અને સ્ટ્રોક થવાનું જોખમ પણ વધી જાય છે.
સવારનો સૂર્યપ્રકાશ શું અસર કરે?
જો તમે નિયમિતપણે અલાર્મ વગર ઊઠો છો તો તમારી સ્લીપ-સાઇકલ યોગ્ય સમયે પૂર્ણ થાય છે અને દિવસભર એનર્જેટિક ફીલ થાય છે એટલું જ નહીં, રાત્રે પણ સમયસર સારી ઊંઘ આવે છે. સવારની નૅચરલ સનલાઇટ સાથે જાગવાનો મુખ્ય લાભ એ છે કે તમારા પાચનતંત્રને હેલ્ધી રાખે છે, સૂર્યપ્રકાશ ત્વચા અને આંખોના સ્વાસ્થ્યને પણ સુધારે છે તથા એમાંથી મળતું વિટામિન D ઇમ્યુન-સિસ્ટમને સુધારવા માટે પણ જરૂરી છે. પ્રાકૃતિક ચીજોને જો મશીન સાથે રિપ્લેસ કરો તો સ્વાસ્થ્યનું બૅલૅન્સ બગડશે એ નક્કી છે અને આ પરિબળો શરીરની એનર્જી અને એકાગ્રતાને અસર કરશે. અલાર્મની માયાજાળમાંથી મુક્ત થઈને સવારની નૅચરલ સનલાઇટ તમારી નીંદર ઉડાડે એવું ઇચ્છતા હો તો એના માટે જીવનશૈલીમાં સુધારો કરીને રાત્રે સમયસર સૂઈ જવું જરૂરી છે. સૂવાનો આઇડિયલ ટાઇમ રાત્રે ૧૦ વાગ્યાનો છે, તો જ આઠ કલાકની ઊંઘ સૂર્યોદય સુધીમાં પૂરી થઈ જાય. ઊઠ્યા બાદ થોડી વાર તડકામાં ઊભા રહેવું જેથી શરીરમાં ઊર્જાનો સંચાર થાય અને આળસ દૂર થાય. સૂર્યપ્રકાશ શરીર પર આવે એ રીતે બેડરૂમ હોય તો આરામથી અલાર્મ વગર આંખ ખૂલી જાય. બેડરૂમમાં પણ સૂર્યપ્રકાશ ડાયરેક્ટ પ્રવેશે એ રીતે મોટી બારી અને હેવી તથા ડાર્ક કલરના પડદાને બદલે લાઇટ-વેઇટ અથવા ટ્રાન્સલ્યુસન્ટ પડદાનો ઉપયોગ કરવો.

