તમારે જો સ્વસ્થ રહેવું હોય તો ટાઇમ મૅનેજ કરતાં શીખીને રાતનું ભોજન સાત વાગ્યા સુધીમાં પતાવી દેવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
જૈનોમાં ચોમાસાના ચાર મહિના સૂર્યાસ્ત પહેલાં ચૌવિહાર કરવાની પ્રથા છે અને ન્યુટ્રિશનિસ્ટ પણ એવી સલાહ આપતા હોય છે કે તમારે રાત્રે સાત વાગ્યા સુધીમાં જમી લેવું જોઈએ, કારણ કે એનાથી તમને સ્વાસ્થ્ય સંબંધી અનેક ફાયદાઓ થાય છે. ઘણા લોકોની એવી ફરિયાદ રહેતી હોય છે કે આજની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે સાત વાગ્યા સુધીમાં ડિનર કઈ રીતે પૉસિબલ છે? તમારે જો સ્વસ્થ રહેવું હોય તો ટાઇમ મૅનેજ કરતાં શીખીને રાતનું ભોજન સાત વાગ્યા સુધીમાં પતાવી દેવું જરૂરી છે.
ADVERTISEMENT
રાત્રે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લેવાથી તમારા શરીરને સ્વાસ્થ્ય સંબંધિત અનેક લાભ થાય છે. આપણે આહારની પૌષ્ટિકતા (ક્વૉલિટી) અને પ્રમાણ (ક્વૉન્ટિટી)નું તો ધ્યાન રાખીએ છીએ પણ એને ખાવાના સમય (ટાઇમિંગ)ને હંમેશાં નજરઅંદાજ કરીએ છીએ. તમે કોઈ પણ ડાયટિશ્યન પાસે જશે તો એ તમને સમયસર ભોજન લેવાની સલાહ આપશે, કારણ કે એના ફાયદા ઘણા છે. આજે આપણે હેલ્થ એક્સપર્ટ પાસેથી જાણીએ કે રાત્રે વહેલા જમવું શા માટે જરૂરી છે અને મોડેથી જમીએ તો એનાથી શરીરને શું નુકસાન થાય અને જલદી જમવાના ફાયદા શું છે.
આ માટે જલદી જમવું જરૂરી
આપણા બૉડીનો સીધો સંબંધ ડે અને નાઇટની જે નૅચરલ સાઇકલ છે એની સાથે છે અને એટલે જ સૂર્યાસ્ત પહેલાં જમી લેવું જરૂરી છે. આ વિશે વાત કરતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘તમારું બૉડી સર્કાડિયન રિધમ પર ચાલે છે. તમારા બૉડીમાં એક ઇન્ટરનલ ક્લૉક હોય છે જે દિવસ અને રાતની સાઇકલ સાથે અલાઇન્ડ હોય છે. દિવસ દરમિયાન આપણે ફિઝિકલી અને મેન્ટલી ઍક્ટિવ હોઈએ છીએ એટલે સવારે ઊઠતાંની સાથે આપણને એનર્જીની જરૂર પડે. એ માટે સવારનો બ્રેકફાસ્ટ હેવી અને રાતનું ડિનર લાઇટ રાખવામાં આવે છે. સાંજ પડતી જાય એમ આપણું બૉડી રિલૅક્સેશન મોડ પર જતું જાય. તમે જો એ ટાઇમ પર શરીરમાં ભરપૂર ખોરાક નાખો તો તમારા બૉડીની કૉન્સ્ટન્ટ સ્ટ્રગલ ચાલુ રહે છે અને એને રેસ્ટ મળતો નથી. એટલે જ સનરાઇઝ અને સનસેટના હિસાબે જમવાનું અને બૉડીનું ન્યુટ્રિશન મૅનેજ કરવાનું ખૂબ જરૂરી છે.’
જલદી જમી લેવાના ફાયદા
આજે પણ ઘણાં ઘરોમાં વડીલો સૂર્યાસ્ત પહેલાં જમી લેતા હોય છે, પણ બાકીના સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત હોય એટલે તેમનાં રાત્રે જમવાનાં કોઈ ઠેકાણાં ન હોય. એ લોકો માટે ખાસ સમજવું જરૂરી છે કે રાત્રે સાત વાગ્યા સુધીમાં જમવાનું પતાવી દઈએ તો કયા હેલ્થ-બેનિફિટ્સ થઈ શકે છે. એ વિશે વિગતવાર વાત કરતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘ડાઇજેશન એક કૉમ્પ્લેક્સ પ્રોસેસ છે. તમને ખાધેલું પચાવવા માટે અઢીથી ત્રણ કલાક જેટલો સમય લાગે. તમે જેટલું જલદી ખાઓ, તમારું પાચન એટલું સારું રહે. ડાઇજેશન પ્રોસેસમાં ઘણીબધી એનર્જી પણ ખર્ચ થતી હોય છે. દિવસ ઢળતો જાય એમ તમારા શરીરનું પાચનતંત્ર પણ ધીમું પડી જાય. એટલે તમે રાત્રે મોડેથી જમો તો જમવાનું સરખી રીતે પચાવવામાં શરીરને તકલીફ પડે. તમારા શરીરની પાચનશક્તિ બગડે એટલે તમને કબજિયાત, ઍસિડિટી, બ્લોટિંગની સમસ્યા થાય. એ ઉપરાંત તમે જલદી જમી લો તો તમને ઊંઘ પણ સારી આવે. તમે સૂવાના ત્રણ કલાક પહેલાં જ જમી લીધું હોય તો તમારો ખોરાક સૂવાના સમય સુધીમાં પચી ગયો હોય. એટલે તમે લાઇટ ફીલ કરો અને સારી રીતે સૂઈ શકો. સાંજના સમયે તમે જલદી ખાઓ તો એ તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે. તમારું મેટાબોલિઝમ હાઈ હોય તો એ ઝડપથી તમારી કૅલરી બર્ન કરશે જે તમને વેઇટલૉસમાં મદદ કરશે. તમે રાત્રે જલદી ડિનર કરી લો તો એ તમારા શુગર-લેવલને સ્ટેબિલાઇઝ થવામાં મદદ કરે. એમાં તમે ડાયાબેટિક છો કે નહીં એનો કંઈ ફરક ન પડે. ટેક્નિકલી તમે નૉન-ડાયાબેટિક પણ હો તો પણ શુગર ઉપર-નીચે થતી હોય. આપણે શરીરમાં ખોરાક નાખતા જ રહીએ તો શુગર-લેવલ સતત ઉપર-નીચે થતું રહે અને એને સ્ટેબલ કરવા માટે વચ્ચે બ્રેક હોવો જરૂરી છે. એટલે તમે જો જલદી ખાઈ લો તો રાત્રે તમારું શુગર-લેવલ સ્ટેબલ થઈ જાય. એ સિવાય જે લોકો રાત્રે જલદી જમી લે તેમનું એનર્જી-લેવલ હંમેશાં હાઈ હોય છે. તમે રાત્રે જમ્યા બાદ તમારા બૉડીને એ પચાવવા માટે ટાઇમ આપ્યો છે. તમે જમી લીધું એટલે એનર્જી મળી ગઈ એવું નથી હોતું. તમારું બૉડી ખોરાકને કેવી રીતે ડાઇજેસ્ટ કરીને એને વાપરે છે એના પર તમારું એનર્જી-લેવલ ડિપેન્ડ કરે છે.’
મોડેથી જમો તો શું થાય?
મોડેથી જમવાની આદત સ્વાસ્થ્ય માટે કઈ રીતે હાનિકારક છે અને એને ચેન્જ કરવી શા માટે જરૂરી છે એ જણાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘જલદી જમવાથી તમને જે ફાયદો થઈ રહ્યો છે એની રિવર્સ ઇફેક્ટ મોડેથી જમવાથી થશે. તમને પાચન સંબંધિત સમસ્યાઓ ચાલુ થઈ જશે, શુગર-લેવલ અચાનક વધશે. ઊંઘમાં ખલેલ પહોંચશે, વેઇટ-મૅનેજમેન્ટમાં પણ સમસ્યા આવશે અને એનર્જેટિક પણ ફીલ નહીં કરો. આવું એટલા માટે કે જ્યારે તમારા બૉડીને રિપેરની જરૂર છે ત્યારે તમારા બૉડી પાસે તમે ડાઇજેશનનું કામ કરાવો છો. એટલે એ ખૂબ જરૂરી છે કે લેટ નાઇટ ડિનરની પૅટર્નને તમે ચેન્જ કરો.’
લાઇટ ડિનર લેવું પણ જરૂરી
તમારું ડિનર વહેલું હોવાની સાથે એ પચાવવામાં હળવું હોય એનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. રાત્રે લાઇટ જમવું કેમ જરૂરી છે અને એમાં આપણે શું ખાઈ શકીએ એ જણાવતાં ડાયટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘તમે જે જમો છો એને કારણે રાતના સમયે તમારા પાચનતંત્ર પર વધુ બોજો ન પડવો જોઈએ. જેમ કે ઘઉં એમાં રહેલા ગ્લુટનને કારણે પચાવવામાં તમારા શરીરને મહેનત કરવી પડશે. તમારા શરીરને જેટલી વધુ મહેનત કરવી પડશે એટલી એની ડાઇજેશન પ્રોસેસ સ્લો થશે. બીજું એ કે લાઇટ ડિનર લેતી વખતે એ પણ ધ્યાન રાખવું કે એ હેલ્ધી હોવું જોઈએ. હેલ્ધી ડિનરમાં તમે વેજિટેબલ ખીચડી, પનીર પુલાવ, દલિયા ખીચડી, વેજિટેબલ રૅપ, ગ્રિલ્ડ પનીર રાઇસ, સ્પ્રાઉટ્સ ભેળ હોય તો એ તમે ખાઈ શકો. આ બધી વસ્તુમાંથી તમારા શરીરને આવશ્યક ન્યુટ્રિશન પણ મળી જાય અને જલદી જમો તો એને પચાવવા માટેનો સમય પણ મળી જાય. સાથે જ એનું પણ ધ્યાન રાખવું કે તમે જે જમવાનું બનાવો એને તમારે પેટ ભરીને ખાવાનું છે. ઘણા લોકો રાતનું ડિનર જ ખાતા નથી અથવા તો ખૂબ ઓછું ખાય છે. આમ કરવાથી પણ એની અવળી અસર શરીર પર પડી શકે છે.’

